બારામુલા અને કિશ્તવાડમાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ, ઘરમાં છુપાઈને જવાનો પર ફાયરિંગ

October 04, 2024

જમ્મુ :  જમ્મુ-કાશ્મીરના બારામુલામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયાના અહેવાલો સામે આવ્યા છે. ઘરમાં છૂપાયેલા બેથી ત્રણ આતંકવાદીઓએ જવાનો પર આડેધડ ફાયરિંગ કરતા સુરક્ષા દળોના જવાનો પણ વળતો જવાબ આપી રહ્યા છે. હાલ બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. આ ઓપરેશનમાં ભારતીય સેનાની 52મી રાષ્ટ્રીય રાઈફલ્સ અને એસએસબીની બટાલિયન-2ની ટીમ આતંકવાદીઓને વળતો જવાબ આપી રહ્યા છે. હાલ આ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.

સુરક્ષા દળને ગુરુવારે મોડી રાત્રે બારામુલાના ક્રેરી વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષા દળની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધરી મીર મોહલ્લા સલોસામાં પહોંચી હતી. આ દરમિયાન જવાનોને એક મકાનમાં આતંકવાદીઓની આશંકા ગઈ હતી. ત્યારબાદ સેનાએ ઓપરેશન શરૂ કરતા આતંકવાદીઓએ જવાનો પર આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો છે. હાલ સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ ઉપરાંત સેનાએ આખા વિસ્તારને પણ ઘેરી લીધી છે.

કાશ્મીર ઉપરાંત જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડમાં ગુરુવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોને માહિતી મળી હતી કે, ચત્રુ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા છે. આ અંગે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન સુરક્ષા દળોને જોતા જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. બંને તરફથી અનેક રાઉન્ડ ફાયરિંગ થયું હતું.