પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત

March 27, 2026


ટેમ્પો ટ્રાવેલરમાં 11 બાળકો સહિત 35 લોકો સવાર હતા, બાળકના મુંડનની વિધિ માટે પ્રયાગરાજ ગયા હતા

કૌશામ્બી- ઉત્તરપ્રદેશના કૌશામ્બી જિલ્લામાં આજે(27 માર્ચ) વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર પૂરઝડપે આવી રહેલા એક ટ્રકે લોકો સવાર ટેમ્પો ટ્રાવેલરને જોરદાર ટક્કર મારી હતી. આ ભીષણ અકસ્માતમાં અનેક યાત્રિકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.


મળતી માહિતી મુજબ, પિકઅપ ટ્રકમાં સવાર તમામ લોકો પ્રયાગરાજના સંગમમાં મુંડન સમારોહમાં ભાગ લેવા ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે કૌશામ્બી જિલ્લાના હાઈવે પર આ દુર્ઘટના ઘટી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટેમ્પો ટ્રાવેલરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી.   પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
ટેમ્પો ટ્રાવેલરમાં અંદાજે 35 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તેમાં 11 બાળકો પણ હતા. તમામ લોકો કુરૌલી ગામના રહેવાસીઓ છે. અકસ્માતના સમાચાર મળતાં CMOએ તાત્કાલિક 'ડાયલ 108' એમ્બ્યુલન્સ સેવાના મેનેજરનો સંપર્ક કર્યો. વિલંબ કર્યા વિના મુખ્યાલય તરફથી ચેતવણી જારી કરવામાં આવી. ત્યારબાદ, રાહત કામગીરીમાં મદદ કરવા માટે એમ્બ્યુલન્સ ઝડપથી પહોંચવા લાગી. સ્થાનિક ગ્રામજનોની મદદથી, પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા સિરાથુ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે પહોંચાડ્યા. ત્યાંથી, ગંભીર હાલતમાં રહેલા લોકોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.