અમદાવાદમાં AI 171 પ્લેન ક્રેશ કેસ : તપાસ હજુ પણ ચાલુ હોવાનું સરકારનું રટણ

June 12, 2026

અમદાવાદ : અમદાવાદમાં સર્જાયેલા ભયાનક એર ઇન્ડિયા AI171 વિમાન અકસ્માતને આજે બરાબર 1 વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનાની પ્રથમ વર્ષગાંઠ પર સરકારી તપાસ સંસ્થા એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ શુક્રવારે (12 June 2026) જણાવ્યું છે કે, 'બ્લેક બોક્સ (ફ્લાઇટ રેકોર્ડર), એન્જિનના ભાગો અને એરક્રાફ્ટ સિસ્ટમના પૃથ્થકરણમાં તપાસકર્તાઓએ 'નોંધપાત્ર પ્રગતિ' (Significant Progress) મેળવી લીધી છે. જો કે, સંસ્થાએ સત્તાવાર અહેવાલ બહાર આવે તે પહેલાં કોઈપણ પ્રકારની અટકળો ન લગાવવા ચેતવણી આપી છે.


નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં AAIBએ જણાવ્યું કે, 12 જૂન 2025ના રોજ ઘટેલી આ દુર્ઘટનાના કારણો શોધવા માટે છેલ્લા 1 વર્ષ દરમિયાન એકત્રિત કરાયેલા તમામ પુરાવાઓનું અત્યારે ઝીણવટભર્યું નિરીક્ષણ ચાલી રહ્યું છે, અને તપાસ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.

અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા માટે ટેક-ઓફ થયેલું એર ઇન્ડિયાનું 'બોઇંગ 787-8 ડ્રીમલાઇનર' (Boeing 787-8 Dreamliner) વિમાન 12 જૂન 2025ના રોજ ઉડાન ભર્યાની ગણતરીની ક્ષણોમાં જ એરપોર્ટ નજીક આવેલી એક મેડિકલ હોસ્ટેલ પર તૂટી પડ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 241 લોકો અને હોસ્ટેલમાં હાજર 19 લોકો સહિત કુલ 260 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં માત્ર 1 બ્રિટિશ નાગરિક 'વિશ્વાસકુમાર રમેશ' ચમત્કારિક રીતે જીવતો બચ્યો હતો. આ ભારતના એવિએશન ઇતિહાસની સૌથી મોટી વિમાન દુર્ઘટનાઓમાંથી એક છે.