ISIના કથિત કાવતરાનો પર્દાફાશ, જંતર-મંતર પર હુમલાની યોજના સાથે 9ની ધરપકડ

August 05, 2026

પંજાબ પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના કથિત ઇશારે આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવાના કાવતરાનો પર્દાફાશ કરીને 4 સગીરો સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે. અમૃતસર પોલીસે જણાવ્યું કે આરોપીઓ પાસેથી પેટ્રોલ બોમ્બ, બોટલ બોમ્બ, પિસ્તોલ, કારતૂસ અને અન્ય શંકાસ્પદ સામાન જપ્ત કરવામાં આવ્યો છે.

તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપીઓ દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા ધરણા દરમિયાન હુમલો કરવાની યોજના સાથે ત્યાં પહોંચ્યા હતા. તેમને સ્થાનિક સ્તરે જરૂરી સામગ્રી અને મદદ પહોંચાડવાના પ્રયાસ પણ થયા હતા, પરંતુ સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે તેઓ પોતાના ઇરાદામાં સફળ થયા નહોતા અને બાદમાં પંજાબ પરત ફરી ગયા હતા.

પોલીસે વધુમાં જણાવ્યું કે બીજી ગેંગે સંવેદનશીલ રેલવે ટ્રેક પાસે સીસીટીવી કેમેરા લગાવી ત્યાંથી મળતા લાઇવ ફૂટેજ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરો સુધી મોકલવાનું કાવતરું રચ્યું હતું. જોડા ફાટક નજીકથી કેમેરો મળ્યા બાદ મોહકમપુરાના રહેવાસી વંશ કુમાર અને એક સગીરને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી હથિયારો પણ જપ્ત કરાયા છે.

પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે જણાવ્યું કે પકડાયેલા સગીરો આર્થિક રીતે નબળા પરિવારોના હોવાથી તેમને નાણાકીય લાલચ આપીને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કરવામાં આવ્યા હતા. હાલ વિદેશી ફંડિંગ, ISI સાથેના સંબંધો,હથિયારોની સપ્લાય ચેઇન અને અન્ય સંભવિત સહયોગીઓની ભૂમિકાની પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.