સંસદનું શિયાળુ સત્રમાં ભારે હોબાળો થવાના આસાર, રાજનાથસિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક

November 30, 2025

કોંગ્રેસે સરકારને ઘેરવાની તૈયારી કરી

દિલ્હી : સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે, તે પહેલાં જ સત્રમાં ભારે હોબાળો થવાના આસાર જોવા મળી રહ્યા છે. શિયાળુ સત્રની શરૂઆત પહેલાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં જે.પી. નડ્ડા, કિરેન રિજિજુ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વિપક્ષી નેતાઓ હાજર રહ્યા હતા.

સર્વપક્ષીય બેઠક બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર લોકશાહીના સિદ્ધાંતોનો નાશ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના લોકસભા સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું, 'એવું લાગે છે કે સરકાર, ભાજપ અને વડાપ્રધાન ભારતના લોકશાહી અને સંસદીય પરંપરાઓનો નાશ કરવા માંગે છે. આ કદાચ સૌથી ટૂંકું શિયાળુ સત્ર છે; એવું લાગે છે કે સરકાર સંસદને પાટા પરથી ઉતારવા માંગે છે.' સંસદમાં પાર્ટીની રણનીતિ અંગે તેમણે કહ્યું કે, 'કોંગ્રેસે રાષ્ટ્રીય સુરક્ષા, વાયુ પ્રદૂષણ, લોકશાહીનું રક્ષણ અને મતદાર યાદીઓની સુરક્ષા (SIR) પર ચર્ચાની માંગ કરી છે.' સીપીઆઈ(એમ) નેતા જોન બ્રિટાસે તાજેતરમાં દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેનાથી સરકાર ખુલ્લી પડી હોવાનું તેમણે કહ્યું. બ્રિટાસે જણાવ્યું કે તેમની પાર્ટી સંસદમાં સુરક્ષા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવા માંગે છે. આ ઉપરાંત તેમણે ચેતવણી આપી કે, 'જો સંસદ ખોરવાઈ જાય અને સ્થગિત થાય, તો સરકાર સંપૂર્ણપણે જવાબદાર રહેશે.' સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જોકે હકારાત્મકતા વ્યક્ત કરી અને કહ્યું કે સરકાર ચર્ચા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, 'કોઈએ એવું નથી કહ્યું કે સંસદ ચાલશે નહીં. કેટલાક નેતાઓએ કહ્યું કે તેઓ SIR પર ગૃહમાં હંગામો મચાવી શકે છે. હું હકારાત્મક રીતે કહી રહ્યો છું કે અમે વિપક્ષને સાંભળવા તૈયાર છીએ.