બોઇસરના ફાર્મા યુનિટમાં કેમિકલ લીકેજ, 22 કામદારો અસરગ્રસ્ત

March 24, 2026

બોઇસરના તારાપુર MIDC વિસ્તારમાં આવેલા એક ફાર્માસ્યુટિકલ યુનિટમાં કેમિકલ લીકેજની ઘટના બની હતી, જેમાં 22 કામદારો અસરગ્રસ્ત થયા હતાં. આંખોમાં બળતરા અને ગૂંગળામણ થતાં તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. રવિવારે બપોરે આશરે 1:45 વાગ્યે ટેન્કરમાં ડાયમિથાઇલ સલ્ફેટ ટ્રાન્સફર કરતી વખતે આ ઘટના બની હતી. ટેન્કરની વેન્ટ લાઇનમાંથી કેમિકલ ઓવરફ્લો થઈ જમીન પર ઢોળાઈ ગયું હતું. ત્યારબાદ તેને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા દરમિયાન ધુમાડો નીકળતાં કામદારોને અસર પહોંચી હતી.

ડાયમિથાઇલ સલ્ફેટના ગુણધર્મોને કારણે કામદારોની આંખોમાં બળતરા થઈ હતી અને કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. શરૂઆતમાં તેમને યુનિટમાં જ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતાં. પરંતુ લક્ષણો ચાલુ રહેતાં સાંજે લગભગ 7 વાગ્યે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ અસરગ્રસ્તોની તબિયત હાલમાં સ્થિર અને સારી છે.