ધર્મેન્દ્ર પ્રધાનના વખાણ, PM મોદીની પ્રશંસા… જાણો નવા શિક્ષણ મંત્રીએ શું કહ્યું

July 26, 2026

નીટ-UG વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રહલાદ જોશીને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. નવી જવાબદારી મળ્યા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા કહ્યું કે, તેઓ પૂરી નિષ્ઠાથી આ જવાબદારી નિભાવશે અને વડાપ્રધાનની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયાસ કરશે. નવી જવાબદારી અંગે પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, 'હું આ જવાબદારીને કર્તવ્ય અને વિનમ્રતાના ભાવ સાથે સ્વીકારું છું. હું વડાપ્રધાનનો આભારી છું અને મને આપેલી જવાબદારી પર ખરા ઉતરવા માટે પૂરો પ્રયાસ કરીશ.' તેમણે ઉમેર્યું કે, મોદી સરકારના છેલ્લા 12 વર્ષના કાર્યકાળમાં દેશે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ મેળવી છે. પ્રહલાદ જોશીએ પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળની પ્રશંસા કરતા કહ્યું કે, 'છેલ્લા 4-5 વર્ષમાં તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવાની સાથે અનેક મહત્વપૂર્ણ પહેલ કરી છે. તેમના નેતૃત્વમાં નવી શિક્ષણ વ્યવસ્થામાં દેશે પ્રગતિ કરી છે.' તેમણે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ કામ કરવાની ખાતરી આપી હતી.
પ્રહલાદ જોશી કર્ણાટકના રાજકારણમાં લાંબા સમયથી સક્રિય છે. તેઓ 2004થી ધારવાડ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. 2004માં પ્રથમ વખત કોંગ્રેસના B S પાટિલને હરાવીને તેઓ સંસદ પહોંચ્યા હતા. આ સિવાય તેઓ 2014થી 2016 દરમિયાન કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. પ્રહલાદ જોશીની રાજકીય સફર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલી રહી છે. 1992થી 1994 દરમિયાન હુબલીના ઈદગાહ મેદાનમાં ત્રિરંગો લહેરાવવા અંગે થયેલા આંદોલન બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. પોતાના રાજકીય કરિયરના શરૂઆતના તબક્કામાં તેમણે 'કાશ્મીર બચાઓ આંદોલન'નું પણ નેતૃત્વ કર્યું હતું.