એકનાથ શિંદેની તબિયત બગડી, સારવાર માટે ડૉક્ટરોની ટીમ પહોંચી ઘરે

November 30, 2024

મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત લથડી છે. આ પછી ડૉક્ટરોની ટીમને તેમના ઘરે બોલાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સતારા સ્થિત પોતાના નિવાસસ્થાને રોકાયેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેને તાવ છે. સતારાથી ડૉક્ટરોની એક ટીમ તેમના ઘરે પહોંચી છે અને તેમની સારવાર કરી રહી છે. તેમનું પૈતૃક ઘર સતારામાં છે, જ્યાં તેઓ રહે છે.

મુખ્યમંત્રી એકનાથ શિંદે શુક્રવારથી શરદી અને વાયરલ તાવથી પીડિત છે. સવારથી તેમની તબિયત સારી નથી. તેઓ છેલ્લા એક મહિનાથી રાજ્યમાં ચૂંટણી પ્રવાસ અને સભાઓ કરવાના કારણે તેમની તબિયત બગડી છે. તેથી મુખ્યમંત્રી એકનાથ શિંદે આરામ કરવા ગામમાં ગયા છે. હાલમાં તેમને તાવ છે અને તેની સારવાર ચાલુ કરવામાં આવી છે.

દિલ્હીમાં અમિત શાહ સાથે મહાગઠબંધનની બેઠકમાં ભાગ લીધા બાદ એકનાથ શિંદે સીધા સતારામાં તેમના પૈતૃક નિવાસસ્થાને ગયા હતા. તેમણે કહ્યું કે, મુંબઈમાં મહાયુતિની બેઠક રદ કરવામાં આવી છે. આ પછી, એવી અટકળો વહેતી થઈ હતી કે તેઓ ગઠબંધનમાં મુખ્યમંત્રી પદને લઈને મડાગાંઠથી નારાજ છે. જો કે, શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ આ દાવાઓને ફગાવી દીધા હતા અને સ્પષ્ટતા કરી હતી કે પક્ષના વડા અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા અને તેથી તેમના ગામ ગયા હતા.