UPમાં દિવાલ તોડીને બેંકમાં ઘૂસ્યા ચાર તસ્કર, 30 લૉકરમાંથી કરોડોના દાગીના લઈને ફરાર

December 22, 2024

લખનઉ- ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કાયદો-વ્યવસ્થા અને પોલીસનો ખોફ કોરાણે મુકી ચોરો બેફામ બની ગયા છે. અહીં ચાર ચોરોએ બેંકના કરોડો રૂપિયાના દાગીની ચોરી મોટી ઘટનાને અંજામ આપ્યો છે. ચારેય ચોર પહેલા દિવાલ તોડી, પછી બેંકમાં ઘૂસ્યા હતા અને 30 લૉકરો તોડી કરોડો રૂપિયાના દાગીના લઈ ફરાર થઈ ગયા છે, તેમ છતાં કોઈને જાણસુદ્ધાં થઈ નથી. આ ઘટનાના CCTVમાં પણ કેદ થઈ છે.  


મળતા અહેવાલો મુજબ ચાર શખસો શનિવારે રાત્રે ઈન્ડિયન ઓવરસીઝ બેંકની શાખામાં ઘૂસ્યા હતા. ચોરોએ બેંકની દિવાલ તોડીને અંદર પ્રવેશ્યા હતા અને સુરક્ષા માટેની એલાર્મ સિસ્ટમને પણ નુકસાન કર્યું. ત્યારબાદ તેઓએ 30 લૉકર તોડ્યા અને તેમાંથી કરોડો રૂપિયાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા.


રાજધાનીમાં શનિવારે આટલી મોટી ચોરીની ઘટના બની છતા તેની જાણ રવિવારે સવારે થઈ હતી. રવિવારે બેંક બંધ હતી, જોકે કેટલાક સ્થાનીક લોકોએ બેંકની પાછળના ખાલી પ્લોટમાં દિવાલ તૂટેલી જોતા પોલીસને જાણ કી હતી. ત્યારબાદ ચિનહટ પોલીસ તુરંત ડૉગ સ્ક્વૉડ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી હતી.


પોલીસે બેંકના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા, જેમાં ચોરો ચોરીની ઘટાને અંજામ આપતા જોવા મળી રહ્યા છે. ચોરો ઈલેક્ટ્રીક કટર લઈને બેંકમાં ઘૂસ્યા હતા. ચોરોએ લગભગ બેંકની અંદર બે કલાક સુધી રહી કરોડોના દાગીના લૂંટ્યા. ચોરોએ કેટલા કરોડના રૂપિયાના દાગીના ચોર્યા, તેની વિગતો હજુ સામે આવી નથી. જોકે બેંક સૂત્રોના જણાવ્યા મુજબ લૉકરોમાં રખાયેલા દાગીનાની કિંમત કરોડો રૂપિયાની હોઈ શકે છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી દીધી છે.