હોર્મુઝ અમારું છે, અમેરિકા દખલ ના કરે... શાંતિ કરાર પહેલા ઈરાને ફરી ટ્રમ્પના દાવા પર પાણી ફેરવ્યું

May 24, 2026

ન્યુ યોર્ક : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક મોટો દાવો કરતા જણાવ્યું છે કે, ઈરાન સાથે શાંતિ કરાર લગભગ નક્કી થઈ ગયો છે અને હવે માત્ર છેલ્લી ઔપચારિકતાઓ પર જ વાતચીત ચાલી રહી છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ કરારથી છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે. અમેરિકા, ઈરાન અને અન્ય કેટલાક દેશો વચ્ચે લાંબી ચર્ચા-વિચારણા બાદ આ વાતચીત હવે તેના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે.


ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટ શેર કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, 'મેં આ વિષય પર ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે પણ ફોન પર વાત કરી છે, જે ખૂબ જ સકારાત્મક રહી છે. કરારના અંતિમ મુદ્દાઓ પર અત્યારે ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.'
અમેરિકન પ્રમુખે એવો પણ દાવો કર્યો હતો કે આ શાંતિ કરાર અંતર્ગત હોર્મુઝ સ્ટ્રેટને દરિયાઈ વાહનવ્યવહાર માટે ફરીથી ખોલી દેવામાં આવશે. જોકે, ઈરાને ટ્રમ્પના આ દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. ઈરાનનું કહેવું છે કે, 'હોર્મુઝ પર અમારું જ નિયંત્રણ રહેશે.' અહેવાલો અનુસાર, ઈરાન માત્ર યુદ્ધ પહેલા જેટલા જહાજો ત્યાંથી પસાર થતા હતા તેટલા જ જહાજોને મંજૂરી આપવા માટે સહમત થયું છે, પરંતુ તેને સંપૂર્ણપણે મુક્ત માર્ગ ગણી શકાય નહીં.


ડોનાલ્ડ ટ્રમ્પે આ કરારને એક 'મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ' (MoU) ગણાવ્યો છે, જેમાં શાંતિ સ્થાપવા માટેના 14 મહત્ત્વના મુદ્દાઓ સામેલ છે. તેમના મતે, અમેરિકા, ઈરાન અને અન્ય દેશોની આખરી મંજૂરી મળ્યા બાદ જ આ કરારને આખરી ઓપ આપવામાં આવશે. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે આ વાટાઘાટોનો મુખ્ય હેતુ યુદ્ધને રોકવાનો છે, જેમાં દરિયાઈ હુમલા બંધ કરવા અને ઈરાન પરના કેટલાક આર્થિક પ્રતિબંધોમાં છૂટછાટ આપવા જેવા મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે.