Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો સાઉદી પણ તેમાં ઝંપલાવશે, મંત્રી ખ્વાજા આસિફનો દાવો

September 20, 2025

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે કે જો જરૂર પડશે તો તેમનો પરમાણુ કાર્યક્રમ સાઉદી અરબને ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે થયેલા નવા સંરક્ષણ કરાર હેઠળ આ વાત કહેવામાં આવી છે. ઇસ્લામાબાદે પહેલીવાર સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે તેણે પોતાની પરમાણુ ક્ષમતાઓ સાઉદી અરબ સુધી લંબાવી છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે ગુરુવારે મોડી રાત્રે એક નિવેદન આપ્યું હતું. આ નિવેદન આ સપ્તાહે પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે થયેલા સંરક્ષણ કરારના મહત્ત્વને દર્શાવે છે. નોંધનીય છે કે, બંને દેશો વચ્ચે ઘણા દાયકાઓથી મજબૂત સૈન્ય સંબંધો રહ્યા છે. આ સાથે તેમણે ભારત-પાકિસ્તાન સંઘર્ષ વિશેના સવાલનો જવાબ આપ્યો છે.  પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચેના સંરક્ષણ સોદા અંગે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જેમાં પરમાણુ ટૅક્નોલૉજી ટ્રાન્સફરથી લઈને ઈઝરાયલી હુમલા અને ભારત-પાકિસ્તાન યુદ્ધનો સમાવેશ થાય છે. આ દરમિયાન, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે દાવો કર્યો છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે તો સાઉદી અરેબ પણ તેમાં સામેલ થશે. ખ્વાજા આસિફે કહ્યું હતું કે જો ભારત તેના પાડોશી દેશ સામે યુદ્ધ જાહેર કરશે તો સાઉદી અરબ પાકિસ્તાનનો બચાવ કરશે. એક પ્રશ્નના જવાબમાં ખ્વાજા આસિફે કહ્યુ કે, "હા, બિલકુલ. તેમાં કોઈ શંકા નથી." વિશ્લેષકો માને છે કે આ પગલું ઈઝરાયલને સ્પષ્ટ સંદેશ આપવા માટે ભરવામાં આવ્યું છે. ઈઝરાયલને ઘણા સમયથી મધ્યપૂર્વનો એકમાત્ર એવો દેશ ગણવામાં આવે છે જેની પાસે પરમાણુ હથિયારો છે. આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે ગયા અઠવાડિયે ઈઝરાયલે કતારમાં હમાસના નેતાઓ પર હુમલો કર્યો હતો, જેમાં છ લોકોના મોત થયા હતા. આ ઘટના પછી, ખાડીના અરબ દેશોમાં પોતાની સુરક્ષા વિશે નવી ચિંતાઓ ઊભી થઈ છે. આ બધાની વચ્ચે ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા ઈઝરાયલ-હમાસ યુદ્ધે સમગ્ર પ્રદેશમાં અસ્થિરતા વધારી દીધી છે. પાકિસ્તાની ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં આસિફને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, 'શું પાકિસ્તાનને પરમાણુ હથિયારોથી મળતી તાકાત અને ડરાવવાની ક્ષમતા સાઉદી અરબને પણ મળશે? તેના પર આસિફે જવાબ આપ્યો, “હું પાકિસ્તાનની પરમાણુ ક્ષમતા વિશે એક વાત સ્પષ્ટ કરી દઉં. આ ક્ષમતા અમે ઘણા સમય પહેલા જ મેળવી લીધી હતી, જ્યારે અમે પરીક્ષણો કર્યા હતા. ત્યારથી અમારી સેનાઓ યુદ્ધના મેદાન માટે પ્રશિક્ષિત છે.' ખ્વાજા આસિફે વધુમાં કહ્યું કે, 'જે અમારી પાસે છે અને જે ક્ષમતાઓ અમે બનાવી છે, તે(સાઉદી અરબ)ને આ કરાર હેઠળ ઉપલબ્ધ કરાવાશે.'  બંને દેશોએ બુધવારે એક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ એક દેશ પર હુમલો, બંને પર હુમલો ગણાશે. જોકે, અત્યાર સુધી પાકિસ્તાન કે સાઉદી અરબે આ કરાર પર સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી કે તેનો પાકિસ્તાનના પરમાણુ હથિયારો સુધી પહોંચ સાથે શું સંબંધ છે. સાઉદી અરબનો પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ સાથે લાંબા સમયથી સંબંધ મનાય છે. પાકિસ્તાનના નિવૃત્ત બ્રિગેડિયર જનરલ ફિરોઝ હસન ખાને કહ્યું હતું કે, 'સાઉદી અરબે પાકિસ્તાનને ખુલ્લા હાથે નાણાકીય મદદ કરી હતી, જેના કારણે પરમાણુ કાર્યક્રમ ચાલુ રહી શક્યો, ખાસ કરીને તે સમયે જ્યારે દેશ પર પ્રતિબંધો લાગેલા હતા.'