છત્તીસગઢમાં બાદ મહારાષ્ટ્રમાં કૃત્રિમ પનીર પર પ્રતિબંધ, ઉત્પાદન કે વેચાણ કરનારને થશે જેલ અને દંડ

August 05, 2026

સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થો સામે મહારાષ્ટ્ર સરકારે અત્યંત કડક વલણ અપનાવીને રાજ્યમાં એનાલોગ એટલે કે કૃત્રિમ અથવા બિન-ડેરી પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. એનાલોગ પનીરના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ, પરિવહન અને વિતરણ પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવી છે. જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અગાઉ છત્તીસગઢ દ્વારા આ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હવે મહારાષ્ટ્ર આ કડક પગલું ભરનારું દેશનું બીજું રાજ્ય બની ગયું છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને શુદ્ધ ખાદ્ય સામગ્રી પૂરી પાડવાનો અને બજારમાં થતી છેતરપિંડી અટકાવવાનો છે. ફૂડ સેફ્ટી કમિશનર તુકારામ મુંધે દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર રાજ્યભરમાં એનાલોગ ચીઝની તમામ પ્રક્રિયાઓ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે.

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને સ્પષ્ટ કર્યું છે કે જે લોકો નકલી કે કૃત્રિમ પનીરને અસલી ડેરી પનીર તરીકે વેચીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે તેમને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ અન્યાયી વેપાર પ્રથાના ગુનેગાર ગણવામાં આવશે. આ કાયદા હેઠળ કસૂરવાર સાબિત થનાર વ્યક્તિને 6 મહિના સુધીની જેલ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. એટલું જ નહીં, જો અસુરક્ષિત ખોરાકના સેવનથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો ગુનેગારો માટે આજીવન કેદ અને ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાના ભારે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.