સુરતમાં આભ ફાટ્યું, 9 ઈંચ વરસાદ

June 23, 2025

સુરત : સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. 22 જૂનની રાત્રે મુશળધાર વરસાદ ખાબક્યા બાદ આજે (23 જૂન) વહેલી સવારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન એટલે કે 2 કલાકમાં જ શહેરમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ 10થી 12 વાગ્યા દરમિયાન બે ઈંચ અને 12 થી 2 વાગ્યા દરમિયાન વધુ દોઢ ઈંચ વરસાદ મળી 9 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.

ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. પાર્ક કરેલા વાહનો પણ ડૂબી જતાં લોકો ચિંતામાં મુકાયા છે. વહેલી સવારે વરસેલા વરસાદને પગલે કલેક્ટરે સવારની પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોર પાળીના બાળકોને રજા આપવા માટે સૂચન કર્યું છે. આમ સ્કૂલોમાં પણ રજા આપી દેવામાં આવી હતી. સુરત શહેરમાં અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિત સર્જાઈ હોય સેન્ટ્રલ બસ સ્ટેશન આવતી જતી એસટી બસ સેવા સ્થગિત કરવામાં આવી છે. ડ્રાઈવરોને પાણી ભરાયા હોય તે વિસ્તારમાં બસ ન લઈ જવા સૂચના આપવામાં આવી છે. વરાછા, અડાજણ સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા બેઝમેન્ટમાં આવેલી દુકાનો પાણીમાં ડૂબી જતા વેપારીઓએ માથે હાથ ધઈ રોવાનો વારો આવ્યો છે.

 ભારે વરસાદના પગલે ઉપસ્થિત થયેલી પરિસ્થિતિને ધ્યાને લઈ મ્યુનિસિપલ કમિશ્નરે કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ખાતે પરિસ્થિતિનું મોનિટરિંગ કર્યું હતું. તેમજ ઋષભ ચાર રસ્તા, ગુજરાત ગેસ સર્કલ ચાર રસ્તા અને ગલેમંડી વિસ્તારના રસ્તા ખોલી દેવામાં આવ્યા છે.સુરતમાં ભારે વરસાદના કારણે બંધ થયેલા રસ્તાઓ મનપા દ્વારા ફરી ખોલવામાં આવ્યા છે. જેમાં રાંદેર ઝોનમાં અડાજણ પાટિયા વિસ્તારમાં આવેલા ધનમોરા કોમ્પલેક્સ, પ્રાઈમ આર્કેડ,. મોટા ભાગળ, સુભાષ ગાર્ડન વિસ્તાર, રાંદેર રોડ , સાઈ આશિષ વેજિટેબલ માર્કેટ વિસ્તારમાં પાણી ભરાતા રસ્તા બંધ થયા હતા જે ફરી શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં સૈયદપુરા અને હોડી બંગલો વિસ્તારમાં ભરાયેલા પાણી દૂર કરી રસ્તો ફરી ચાલુ કરવામાં આવ્યો છે. કતારગામ ઝોનના ગોતાલાવાડી વિસ્તારમાં પણ બંધ થયેલા રસ્તાને પુનઃ શરૂ કરાયો છે. એલપી સવાણી સર્કલ, ટ્યુશન ક્લાસમાં 8 છોકરાઓ તથા સરથાણા ફાયર સ્ટેશન પાસે મારૂતિ વાનમાં જતા 5 બાળકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.