મુખ્યમંત્રીની રેસમાં કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વર પણ સામેલ

November 23, 2025

કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશીને લઈને ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા ખેંચતાણ વચ્ચે નવા ચહેરાની એન્ટ્રી થઈ છે. જેમાં હવે મુખ્યમંત્રીની રેસમાં કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વર પણ સામેલ છે. તેમણે રવિવારે (23 નવેમ્બર) સંકેત આપ્યા કે, રાજ્યમાં નેવૃત્ત્વ પરિવર્તન થવાની સ્થિતિમાં અને દલિત મુખ્યમંત્રીની માગ વચ્ચે તેઓ પણ સીએમ બનવાની રેસમાં છે. 


જોકે, મુખ્યમંત્રી પરિવર્તનના મુદ્દા પર પાર્ટીમાં મૂંઝવણની સ્થિતિ સંબંધિત સમાચારને તેમણે નકારી કાઢ્યા છે. જી. પરમેશ્વરે કહ્યું કે, 'કોંગ્રેસ હાઇકમાન્ડમાંથી કોઈએ હજુ સુધી આ બાબતે વાત કરી નથી. તેમજ કોંગ્રેસ વિધાનસભા પક્ષમાં પણ તેની ચર્ચા થઈ નથી. જો જરૂરી હોય તો કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન અંગે નિર્ણય પાર્ટીના ટોચના નેતા રાહુલ ગાંધી સાથે ચર્ચા કર્યા પછી લેશે.' આ મામલો વર્ષ 2023માં થયેલા સત્તા-વહેંચણી કરાર પર આધારિત છે. આના પ્રમાણે સિદ્ધરમૈયાને અઢી વર્ષ એટલે કે 20 નવેમ્બર, 2025 સુધી મુખ્યમંત્રી રહેવાનું હતું અને આ પછીની જવાબદારી નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને મળવાની હતી. પરમેશ્વરે મુખ્યમંત્રી રેસમાં સામેલ થવાના સવાલ પર કહ્યું કે, 'હું હંમેશા રેસમાં રહ્યો છું, આ કોઈ મોટો મુદ્દો નથી. હું 2013માં પ્રદેશ કોંગ્રેસ સમિતિનો પ્રમુખ હતો, અને અમે (2013ની વિધાનસભા ચૂંટણીમાં) કોંગ્રેસને સત્તામાં લાવ્યા હતા. મેં ક્યારેય તેનો શ્રેય એકલા લીધો નથી. હું તે ચૂંટણી હારી ગયો. જો હું જીતી ગયો હોત, તો કદાચ (સમીકરણ) અલગ હોત.'


દલિત મુખ્યમંત્રીની માગને લઈને પર પરમેશ્વરે તેમના એસસી-એસટી સમુદાયના મંત્રીઓમાં એસ સી મહાદેવપ્પા, સતીશ જરકીહોલી અને અન્ય સાથે મળેલી બેઠક પરથી કહ્યું કે, 'ઘણાં સમયથી દલિત મુખ્યમંત્રી બનાવવાની માગ કરવામાં આવી રહી છે.'