60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ ક્યાં..? રામ મંદિર દાન ચોરી મામલે SIT ગોથે ચઢી

June 20, 2026

અયોધ્યા રામ મંદિરના ચઢાવા ચોરીના મામલામાં એસઆઇટી(SIT)ની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અને તે પહેલાં દેશભરના શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલી અબજો રૂપિયાની કિંમતી વસ્તુઓનો કોઈ સત્તાવાર રૅકોર્ડ કે રસીદ ન મળી આવતા મોટો હડકંપ મચી ગયો છે. હવે આ સમગ્ર મામલે તપાસ એજન્સીઓ દાન આપનારા શ્રદ્ધાળુઓનો સીધો સંપર્ક કરી રહી છે.

તપાસ ટીમ માટે સૌથી મોટી પઝલ રામ મંદિરની નીવ(પાયા)માં રાખવા માટે આપવામાં આવેલી 60 કિલો ચાંદીની શિલાઓ (ઇંટો) બની ગઈ છે. ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિએશનના નોર્થ ઇન્ડિયા હેડ અનુરાગ રસ્તોગીએ દાવો કર્યો છે કે, દેશભરના સર્રાફા વેપારીઓના સહયોગથી આ 60 કિલો ચાંદી એકત્ર કરીને 1થી 1.25 કિલો વજનની ઇંટો બનાવવામાં આવી હતી, જેના પર દાનદાતાઓના નામ અને ગોત્ર પણ અંકિત હતા.

આ શિલાઓ 20 જુલાઈ 2020ના રોજ ચંપત રાયની પરવાનગીથી અયોધ્યા લાવવામાં આવી હતી અને ટ્રસ્ટના હોદ્દેદારો ચંપત રાય, ડૉ. અનિલ મિશ્રા અને કોષાધ્યક્ષ પ્રકાશ ગુપ્તાની હાજરીમાં તેની વિશેષ પૂજા થઈ હતી. ઍસોસિએશન પાસે આ સામાન સોંપ્યાની સત્તાવાર રસીદ પણ છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, મંદિર નિર્માણ કે નીવ પૂજન દરમિયાન આ શિલાઓ ક્યાંય જોવા મળી નથી અને અત્યારે રૅકોર્ડમાંથી સંપૂર્ણપણે ગાયબ છે.