પુણેની અદાલતનો ચુકાદો: બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનાર 65 વર્ષીય નરાધમને 60 જ દિવસમાં ફાંસીની સજા

June 30, 2026

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના નસરાપુર ગામમાં ત્રણ વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી, તેના પર અત્યાચાર ગુજારી હત્યા કરવાના ચકચારજનક કેસમાં વિશેષ અદાલતે 65 વર્ષના આરોપીને ફાંસીની સજા ફટકારી છે. આઘાતજનક ગુનો ગત 1 મેના રોજ આચરવામાં આવ્યો હતો અને કોર્ટે માત્ર 60 દિવસની અંદર જ એટલે કે 25 જૂને આરોપી ભીમરાવ કાંબળેને દોષિત જાહેર કરી મૃત્યુદંડનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે આ જઘન્ય અપરાધને અતિ દુર્લભ શ્રેણીનો ગણીને કડક દાખલો બેસાડ્યો છે.

આરોપીએ માસૂમ બાળકીને નાસ્તો આપવાની અને ગાયનું વાછરડું બતાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ તે બાળકીને પશુઓના વાડા પાસે આવેલા એક છાપરામાં લઈ ગયો હતો, જ્યાં તેણે આ જઘન્ય ગુનાને અંજામ આપીને તેની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. વિશેષ ન્યાયાધીશ એસ. આર. સાળુંખેએ નોંધ્યું હતું કે પીડિતા એકદમ નિર્દોષ અને લાચાર હતી. વાસના સંતોષવા માટે કોઈપણ ઉશ્કેરણી વગર અત્યંત ક્રૂરતાથી આ હત્યા કરવામાં આવી હતી, જેણે ન્યાયતંત્ર અને સમગ્ર સમાજના આત્માને હચમચાવી દીધો છે.

બચાવ પક્ષના વકીલે આરોપીની 65 વર્ષની ઉંમરનો હવાલો આપીને સજામાં રાહત આપવા અપીલ કરી હતી, જેને ન્યાયાધીશે આકરા શબ્દોમાં ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ ઉંમરે પણ ગુનેગારની વાસના ઘટી નથી અને તે ભયજનક સ્તરે પહોંચી ગઈ છે, જે બાળકીના શરીર પર જોવા મળેલી ઈજાઓ પરથી સાબિત થાય છે. સરકારી વકીલે પણ દલીલ કરી હતી કે આરોપી અગાઉ 62 વર્ષના વૃદ્ધ મહિલા, 17 વર્ષની તરુણી અને એક મૂંગા પ્રાણી પર અત્યાચાર કરવાના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે, તેથી તેનામાં સુધારો થવાની કોઈ જ શક્યતા નથી.

અદાલતે નોંધ્યું કે આરોપીને તેના ભૂતકાળના અનુભવો પરથી એવો અહંકાર હતો કે કાયદો તેનું કંઈ બગાડી શકશે નહીં, તેથી જ તેણે પરિણામની પરવા કર્યા વિના આ કાળજું કંપાવનારું કૃત્ય કર્યું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ તપાસ એજન્સીઓ અને પોલીસની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવા માનસિક વિકૃતિ ધરાવતા ગુનેગારોને સમાજમાં રહેવાનો કોઈ અધિકાર નથી. ન્યાયાધીશે જ્યારે મોતની સજાનું એલાન કર્યું ત્યારે પીડિત પરિવારની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા હતા અને તેઓ ભાંગી પડ્યા હતા.