મમતા બેનર્જીને રદ કરવી પડી મહત્વની બેઠક, 80 માંથી 60 MLA ગાયબ રહ્યા, TMCએ જણાવ્યું આ કારણ

June 01, 2026

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની અંદર અસંતોષ અને આંતરિક બળવાનો એવો જ્વાળામુખી ફાટ્યો છે, જેણે પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જીના રાજકીય સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા છે. શનિવારે એક અભૂતપૂર્વ ઘટનાક્રમમાં, પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને બોલાવવામાં આવેલી ધારાસભ્ય દળની ઇમરજન્સી બેઠકમાંથી પાર્ટીના 80 માંથી 60 ધારાસભ્યો ગાયબ રહ્યા હતા. ક્યારેક બંગાળની સત્તાનું મુખ્ય કેન્દ્ર ગણાતા કાલીઘાટ આવાસ પર ધારાસભ્યોનો આ અસહકાર સ્પષ્ટ સંકેત આપે છે કે મમતા બેનર્જી વિરૂદ્ધ બળવાની પટકથા લખાઈ ચૂકી છે. TMCના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ મહત્વપૂર્ણ બેઠક વિધાયક દળના નેતા શોભનદેવ ચટ્ટોપાધ્યાય દ્વારા મમતા બેનર્જીના નિવાસસ્થાને બોલાવવામાં આવી હતી. બેઠકનો મુખ્ય હેતુ ચૂંટણીમાં મળેલી હાર અને અભિષેક બેનર્જી પર થયેલા હુમલા બાદની સ્થિતિની સમીક્ષા કરવાનો હતો. પરંતુ જ્યારે બેઠક શરૂ થઈ ત્યારે ત્યાં માત્ર 20 ધારાસભ્યો જ હાજર હતા. જ્યારે બાકીના 60 ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેઓ સંપૂર્ણપણે 'આઉટ ઓફ કવરેજ' (સંપર્ક બહાર) જોવા મળ્યા હતા. પાર્ટીની નબળી સ્પષ્ટતા: આ મોટી નાલેશી પર પડદો પાડવા માટે ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે એવો નબળો બચાવ કર્યો હતો કે, જે ધારાસભ્યો નથી આવ્યા તેઓ અભિષેક બેનર્જી અને વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જી પર થયેલા હુમલાના વિરોધ પ્રદર્શનમાં વ્યસ્ત હતા. જો કે, રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યોનું ગાયબ થવું એ કોઈ સંયોગ નહીં પણ સુનિયોજિત બળવો છે. કાલીઘાટમાં મચેલા આ આંતરિક હાહાકાર વચ્ચે મમતા બેનર્જી માટે એકમાત્ર રાહતની વાત એ રહી કે ફિરહાદ હકીમ, નયના બંદોપાધ્યાય, મદન મિત્રા, આશિમા પાત્રા અને કુણાલ ઘોષ જેવા જૂના જોગીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. પરંતુ આ એકતા પણ પાર્ટીને વેરવિખેર થતી રોકવા માટે અપૂરતી સાબિત થઈ રહી છે. આ આંતરિક વિદ્રોહ ઠીક એવા સમયે સામે આવ્યો છે, જ્યારે 24 કલાકની અંદર સોનારપુરમાં પાર્ટીના સેકન્ડ-ઈન-કમાન્ડ અભિષેક બેનર્જીને ભીડ દ્વારા માર મારવામાં આવ્યો અને હુગલીના ચંડીતલામાં વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જીના માથા પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલાઓ દર્શાવે છે કે 2011થી ડાબેરીઓને ઉખાડીને સતત ત્રણ વાર બંગાળ પર રાજ કરનારી ટીએમસીની કાયદો અને વ્યવસ્થા પરથી પકડ સંપૂર્ણપણે ઢીલી થઈ ગઈ છે.