આસામમાં પૂરને કારણે 2.12 લાખથી વધુ લોકો સંકટમાં, મૃત્યુઆંક વધીને 80

July 31, 2026

ગોલઘાટ : આસામમાં પૂરને કારણે રાજ્યના 8 જિલ્લાઓમાં 2,12,441થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. જ્યારે આ વર્ષે પૂરના કારણે મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. ASDMAના જણાવ્યા અનુસાર, ગોલાઘાટ, શિવસાગર, વિશ્વનાથ, ચરાઈદેવ, કામરૂપ(મેટ્રો), જોરહાટ, ધેમાજી અને નાગાંવ જિલ્લાઓમાં કુલ 2,12,441 લોકો પૂરની ઝપેટમાં છે. આ કુદરતી આપત્તિએ 21 મહેસૂલ મંડળો (રેવન્યુ સર્કલ) અંતર્ગત 437 ગામોને પ્રભાવિત કર્યા છે. જ્યારે પૂરના પાણી ફરી વળવાથી 17,198.09 હેક્ટર જમીનમાં ઊભેલો પાક બગડી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન શિવસાગર જિલ્લામાં વધુ 2 લોકોના મોત થયા છે, જેના કારણે આ સિઝનમાં રાજ્યમાં પૂરના લીધે મૃત્યુ પામનારાઓનો કુલ આંકડો 80 પર પહોંચી ગયો છે.

પ્રભાવિત વિસ્તારોમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે. વિસ્થાપિત થયેલા પરિવારોને આશરો આપવા માટે કુલ 21 સ્થળોએ રાહત શિબિરો શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા પ્રશાસન દ્વારા પ્રભાવિત નાગરિકોને ભોજન, શુદ્ધ પીવાનું પાણી અને અન્ય જરૂરી રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં પણ કામરૂપ મેટ્રોપોલિટન જિલ્લાના કેટલાક ભાગોમાં પૂરની અસર જોવા મળી રહી છે, અને અનેક નદીઓમાં પાણીનું સ્તર હજુ પણ ખતરાના નિશાનની ઉપર વહી રહ્યું છે. આ દરમિયાન, આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણે ગુરુવારે રાત્રે એક સાર્વજનિક એડવાઇઝરી જાહેર કરીને નાગરિકોને ધનસિરી (દક્ષિણ) નદીથી દૂર રહેવાની સખત ભલામણ કરી છે. કારણ કે ગોલાઘાટ જિલ્લાના નુમાલીગઢ પાસે આ નદીનું જલસ્તર સતત વધી રહ્યું છે. રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર પૂરની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.