દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદથી પૂર, આસામમાં 82 સહિત 90થી વધુ લોકોના મોત

August 03, 2026

નવી દિલ્હીમાં ભારતના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે અને અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને રવિવારે આસામ, કેરળ અને છત્તીસગઢના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું, જેના કારણે મોટી સંખ્યામાં લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું અને જાનમાલને મોટું નુકસાન થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સ્થિતિ વચ્ચે ભારતીય હવામાન વિભાગે આગામી કેટલાક દિવસ માટે અનેક રાજ્યોમાં અતિભારે વરસાદ સાથે પૂરની આગાહી કરી છે, જેથી જે-તે તંત્રને સતર્ક રહેવા જણાવાયું છે.

ભારે વરસાદના કારણે સૌથી વધારે નુકસાન આસામમાં થયું છે, જ્યાં ભારે વરસાદ અને પૂરના કારણે 82 લોકોના મોત થયા છે. વરસાદ એટલો વધારે પડ્યો હતો કે રાજ્યના પાંચ જિલ્લા શિવસાગર, ગોલાઘાટ, જોરહાટ, નાગાંવ અને ચરાઈદેવ પૂરગ્રસ્ત બન્યા છે અને 379 ગામડાંઓ પ્રભાવિત થયા છે. આ 379 ગામમાં કુલ 1.92 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ દરમિયાન શિવસાગર જિલ્લાના નેપાળી ખૂંટ વિસ્તારના લોકોએ સાહસ દેખાડ્યું હતું અને દેશી નાવડીના સહારે પાંચ ગામના કુલ એક હજારથી પણ વધારે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

છત્તીસગઢમાં ભારે વરસાદના કારણે નારાયણપુર જિલ્લો સૌથી વધારે પ્રભાવિત થયો છે, જ્યાં 50થી પણ વધારે મકાનો ધરાશાયી થઈ ગયા છે અને બે બાળકીઓના મોત થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એક સ્થાનિકના જણાવ્યા પ્રમાણે અચાનક એટલું પાણી આવી ગયું કે કોઈને સાવધાન થવાનો મોકો જ મળ્યો નહોતો. અત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારોમાં જઈને લોકોને મદદ કરવામાં આવી રહી હોવાનું સરકારે જણાવ્યું હતું.

કેરળમાં વરસાદ અને પૂરના કારણે 8 લોકોના મોત થયા છે, જ્યારે હજી પણ 8 લોકો ગુમ છે અને 13 લોકો ઘાયલ થતા સારવાર હેઠળ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તંત્ર દ્વારા કુલ 5792થી વધારે લોકોનું 209 રાહત શિબિરોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે અને અનેક મકાનો પણ ધરાશાયી થયા છે. આવી સ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રીના આદેશ પ્રમાણે પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવાયું છે અને આર્થિક મદદ માટે પણ જાહેરાત કરવામાં આવી છે.