આસામમાં પૂરની સ્થિતિ પર PM મોદીની સમીક્ષા બેઠક, ધારાસભ્યોએ એક મહિનાનો પગાર રાહત માટે આપ્યો

July 29, 2026

આસામમાં પૂરથી સર્જાયેલી ગંભીર સ્થિતિ વચ્ચે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ હોવાથી હજારો પરિવારો મુશ્કેલીમાં છે. આ સ્થિતિની સમીક્ષા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના સાંસદો સાથે બેઠક યોજી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે કેન્દ્ર સરકાર આસામ સરકાર સાથે મળીને પૂરગ્રસ્તો સુધી જરૂરી સહાય પહોંચાડવા સતત કાર્યરત છે અને રાજ્યમાં સ્થિતિ વહેલી તકે સામાન્ય બને તેવી આશા વ્યક્ત કરી હતી.

શિવસાગર જિલ્લાના નૌજાન ગામ સહિત અનેક વિસ્તારોમાં ઘરો અને માર્ગોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. અનેક પરિવારોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જ્યારે હજારો લોકો રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે. પ્રભાવિત લોકોને પીવાનું પાણી, ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓ પહોંચાડવા માટે તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે.

પૂર પીડિતોની સહાય માટે આસામના રાયજોર દળ સિવાયના તમામ ધારાસભ્યોએ પોતાના એક મહિનાનો પગાર રાહત અને પુનર્વસન કાર્ય માટે દાન કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને રાજ્યમાં વ્યાપક આવકાર મળ્યો છે.