વડાપ્રધાન અને ગૃહમંત્રી રાજીનામું આપે: PM આવાસ નજીક ધરણાં પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

July 21, 2026

દિલ્હીમાં પેપર લીક અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના વાયનાડ સાંસદ પ્રિયંકા ગાંધી, પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના આગેવાનો 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત PM આવાસ નજીક ધરણા પર બેસી ગયા છે. વિપક્ષી નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

કોંગ્રેસ સાંસદોએ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાનેથી PM આવાસ સુધી આશરે 7 કિલોમીટરની પેદલ માર્ચ કાઢી હતી. અગાઉ જંતર-મંતરથી સંસદ તરફ માર્ચ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે બળપ્રયોગ કરીને લાઠીચાર્જ કર્યો હતો અને ટિયર ગેસના શેલ પણ છોડ્યા હતા. આ દરમિયાન વિરોધ કરી રહેલા કોંગ્રેસના કેટલાક નેતાઓને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા હોવાના પણ અહેવાલ છે.