ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા

February 16, 2026

જાણીતા અભિનેતા રાજપાલ યાદવને વર્ષો જૂના ચેક બાઉન્સ કેસમાં વચગાળાના જામીન મળ્યા છે. રાજપાલ યાદવે 19 ફેબ્રુઆરીએ તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે જામીન અરજી દાખલ કરી હતી. કોર્ટે આજે(16 ફેબ્રુઆરી) રાજપાલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરી હતી. 

આ અંગે દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવના વકીલને વચગાળાના જામીન માટે રૂ.1.5 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરવા માટે બપોરે 3 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે 'જો આજે બપોરે 3 વાગ્યા સુધીમાં ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવે તો તેમને મુક્ત કરાશે. નહીં તો કેસની સુનાવણી આવતીકાલે સવારે, 17 ફેબ્રુઆરીએ થશે.'

જોકે, 2.5 કરોડ રૂપિયા જમા કરી દેવાતા રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટે જામીન આપ્યા છે. 75 લાખ રૂપિયા અગાઉ જમા કરાવ્યા હતા, જ્યારે 1 કરોડ 75 લાખ રૂપિયા આજે જમા કરાવ્યા છે. જેને લઈને હવે રાજપાલ યાદવને તિહાર જેલમાંથી મુક્ત કરાશે. 

દિલ્હી હાઈકોર્ટમાં અગાઉની સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે અભિનેતાએ સમયમર્યાદા વધારવા છતાં લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હતા. કોર્ટે રાજપાલના વકીલ દ્વારા કરવામાં આવેલી તમામ દલીલોને પાયાવિહોણી ગણાવી હતી. રાજપાલે તેમની સજા રદ કરવાની વિનંતી કરી હતી.

આ માંગણીના જવાબમાં કોર્ટે કહ્યું, ‘તેમણે પહેલેથી જ લોન લીધી હોવાનું કબૂલ્યું છે, તો તેમને કેવી રીતે માફ કરી શકાય? તેમને પૈસા ચૂકવવા માટે 25-30 તકો આપવામાં આવી હતી, પરંતુ તેઓ હજુ સુધી તે કરી શક્યા નથી. હવે તેઓ સજા પર રોક કેમ માંગી રહ્યા છે?’

કોર્ટે રાજપાલને ઠપકો આપતા કહ્યું કે, ‘તમે કોર્ટના આદેશને કારણે નહીં, પરંતુ તમારા પોતાના કામના કારણે જેલમાં છો. રાજપાલના વકીલના મતે, લોનની રકમના 3 કરોડ રૂપિયાથી વધુ ચૂકવી દેવામાં આવ્યા છે. અરજદારને 2.10 કરોડ રૂપિયા જમા કરાવવાના છે.’