અયોધ્યામાં રામમંદિર નિર્માણમાં 800 કરોડનો અંદાજ હતો તો 2200 કરોડ કેમ થયો? ટ્રસ્ટના પૂર્વ કર્મી મહિપાલસિંહનો ભ્રષ્ટાચારનો આરોપ

August 05, 2026

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અને દાન ચોરીના કથિત કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ટ્રસ્ટના પૂર્વ હિસાબ વડા અને વ્હિસલ બ્લોઅર મહિપાલસિંહે એસઆઈટીને ઈમેલ મોકલી ગંભીર આરોપ લગાવ્યા છે કે મંદિરની ડિઝાઈન અને પ્લાનિંગ પહેલેથી નક્કી હતું અને તેના આધારે ખર્ચનો અંદાજ 800 કરોડ હતો, પરંતુ વાસ્તવમાં ઓછો ખર્ચ થવા છતાં કાગળ પર 2200 કરોડ બતાવી મોટી રકમ પચાવી પાડવામાં આવી છે.

તેમણે મોકલેલા પત્રમાં રાજીનામું આપનારા પૂર્વ મહામંત્રી ચંપત રાય, રામ શંકર યાદવ ઉર્ફે ટીનૂ યાદવ અને બેંક કર્મચારીઓ સહિત અન્યોના નામનો ઉલ્લેખ કરી વધુ ખર્ચ દેખાડી રકમ હડપવાનો આરોપ લગાવ્યો છે. ચંપત રાયે ટીનૂ યાદવને વધુ જવાબદારીઓ આપી હતી અને તેઓ મંદિરમાં સ્વયંભૂ પ્રભારી તરીકે કામ કરતા હતા.

લખનઉના કમિશનર અને પ્રથમ એસઆઈટી અધ્યક્ષ વિજય વિશ્વાસ પંતે 26 જુલાઈએ પુરાવા માંગતા ઈમેલ કર્યો હતો, જેના જવાબમાં મહિપાલસિંહે તમામ દસ્તાવેજો સોંપી દાન ચોરી અને કૌભાંડમાં સામેલ તમામ સામે વિસ્તૃત અને નિષ્પક્ષ તપાસ તથા પોતાના દાવાઓને તપાસનો ભાગ બનાવવાની માંગ કરી છે. અગાઉ સાંસદ સંજયસિંહે પણ જમીન ખરીદીમાં કૌભાંડના દસ્તાવેજો એસઆઈટીને સોંપ્યા હતા જેમાં ચંપત રાય સામે આરોપો હતા.