મોદી કેબિનેટમાંથી રવનીત સિંહ બિટ્ટુનું રાજીનામું, રાષ્ટ્રપતિએ તાત્કાલિક અસરથી કર્યું મંજૂર

July 24, 2026

કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર કેન્દ્રીય મંત્રીપરિષદમાંથી રવનીત સિંહનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે. ભારતીય બંધારણની કલમ 75(2) હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આ રાજીનામું તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રવનીત સિંહ બિટ્ટુ આગામી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરી શકે છે. પાર્ટી તેમને ચૂંટણીમાં કોઈ મહત્વની ભૂમિકા સોંપી શકે છે અથવા તો તેઓ પોતે પણ કોઈ મહત્વની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. રવનીત સિંહ બિટ્ટુને કેન્દ્રીય મંત્રીની જવાબદારીમાંથી મુક્ત કરીને પંજાબના રાજકારણમાં સક્રિય કરવા અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી.