BMCની ચૂંટણી માટે ઠાકરે બંધુ એક થયા, તૈયાર કર્યો સીટ શેયરિંગનો પ્લાન

December 19, 2025

મહારાષ્ટ્રના રાજકારણમાં ખૂબ જ મહત્ત્વની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી લઈને શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ ગઠબંધન કર્યું છે. ઠાકરે બંધુઓએ એક દાયકા જૂના રાજકીય મતભેદો ભૂલી એક થયા છે અને બંને નેતાઓએ ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને હરાવવાનો પ્લાન ઘડી કાઢ્યો છે. રિપોર્ટ મુજબ, બંને નેતાઓએ સીટ શેયરિંગ ફોર્મ્યૂલા લગભગ ફાઈનલ કરી નાખી છે. ચર્ચા મુજબ બંને નેતાઓ એકબીજાના ઉમેદવારોનો પ્રચાર પણ કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ઠાકરે બંધુઓનું ગઠબંધન MaMu ફેક્ટર એટલે કે મરાઠી-મુસ્લિમ સમીકરણને ધ્યાને રાખીને ઉમેદવારો ઉતારશે. યોજના મુજબ બંને પાર્ટીઓ બીએમસીની કુલ 227 બેઠકોમાંથી 72 બેઠકો પર મરાઠીઓનું અને 41 બેઠકો પર મુસ્લિમોનું વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાં વધુ ધ્યાન કેન્દ્રીત કરશે. ઉદ્ધવ ઠાકરેએ લોકસભા ચૂંટણી-2024માં આ જ ફેક્ટરનો ઉપયોગ કરીને ગોવંડી, માનખુર્દ, બાયકુલા અને માહિમ જેવા વિસ્તારોમાં ફાયદો મેળ્યો હોવાનું કહેવાય છે. સીટ શેટરિંગના પ્રાથમિક ફોર્મ્યૂલા હેઠળ શિવસેના યુબીટી 140થી 150 બેઠકો, જ્યારે એમએનએસ 60થી 70 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. બંને નેતાઓ માટે ચાર મુખ્ય મરાઠી ગઢ વર્લી, દાદર-માહિમ, સિવરી અને વિક્રોલી/ભાંડુપ ખૂબ જ મહત્ત્વના છે, જેના કારણે આ ચારેય બેઠકો પર વાતચીત ચાલી રહી છે. રાજ ઠાકરે આ ચારેય વિસ્તારોમાં ચૂંટણી લડવા માંગે છે, જોકે આ ચારેય વિસ્તારોમાં ઉદ્ધવના ધારાસભ્યોનો પ્રભાવ છે.