ટ્રમ્પે 25મી વખત લીધો ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય, કહ્યું- 5 ફાઈટર જેટ તૂટ્યા, પરમાણુ યુદ્ધ થતાં રોક્યું

July 23, 2025

 અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યું હોવાનો અને યુદ્ધમાં પાંચ ફાઈટર જેટ્ય તૂટ્યા હોવાનો ફરી દાવો કર્યો છે. તેમણે વ્હાઈટ હાઉસમાં મંગળવાર (22 જુલાઈ)એ યોજાયેલ એક કાર્યક્રમમાં કહ્યું કે, બંને દેશો વચ્ચે ખૂબ તણાવ વધી ગયો હતો. મેં યુદ્ધમાં હસ્તક્ષેપ કર્યો અને તેને અટકાવવામાં સફળ થયો. તે વખતે બંને દેશો વચ્ચે ગંભીર સ્થિતિ ઉભી થઈ ગઈ હતી, પાંચ ફાઈટર જેટ તૂટી ગયા હતા અને કોઈપણ સમયે પરમાણુ હથિયારનો ઉપયોગ થવાનો હતો.’

ભારત-પાકિસ્તાન વચ્ચે 10 મે-2025ના રોજ સીઝફાયર થયું ત્યારે ટ્રમ્પે પહેલીવાર યુદ્ધવિરામ કરાવ્યું હોવાનો દાવો કર્યો હતો. અમેરિકન પ્રમુખે છેલ્લા 73 દિવસમાં 25 વખત યુદ્ધ ખતમ કરાવ્યું હોવાનો દાવો કરી ચુક્યા છે. જોકે દર વખતની જેમ ભારતે પણ ટ્રમ્પના દાવાને ફગાવી દીધા છે. ટ્રમ્પે બીજી વખત કહ્યું કે, ‘ભારત-પાકિસ્તાન ઘર્ષણમાં પાંચ ફાઈટર જેટ તૂટી ગયા હતા. મેં બંને દેશોના નેતાઓને ફોન કર્યો અને ચેતવણી આપી હતી કે, જો લડાઈ નહીં અટકાવો તો અમેરિકા વેપાર અટકાવી દેશે. તે બંને દેશો પાસે પરમાણુ હથિયારો છે. કોણ જાણે શું પરિણામ આવ્યું હોત, પણ મેં તેને અટકાવી દીધું છે. મેં એક વખત નહીં ઘણીવાત તેઓ સાથે વાતચીત કરી છે.’