નવી પાર્ટી બનાવી AIMIM સાથે ગઠબંધન કરી ચૂંટણી લડીશું: હુમાયુ કબીર

December 07, 2025

પશ્ચિમ બંગાળ : પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવો અને મહત્ત્વપૂર્ણ વળાંક આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ(TMC)માંથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયુ કબીરે મુર્શિદાબાદના બેલડાંગામાં બાબરી મસ્જિદ જેવી સંરચનાનો શિલાન્યાસ કર્યાના થોડા જ કલાકો બાદ મોટા ગઠબંધનની જાહેરાત કરી છે. શનિવારે કબીરે કહ્યું કે, તેઓ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી સાથે વાતચીત કરી રહ્યા છે અને બંને પક્ષો આગામી ચૂંટણીઓમાં સાથે મળીને મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે.


હુમાયુ કબીરે જણાવ્યું કે, આ સંભવિત ગઠબંધન બંગાળમાં ભારતીય જનતા પાર્ટી(BJP) અને TMC બંનેને રોકવા માટે એક મજબૂત વિકલ્પ રજૂ કરશે. આ અંગે હુમાયુ કબીરે કહ્યું કે, 'અમે ઓવૈસીની પાર્ટી સાથે ચર્ચા કરી રહ્યા છીએ અને સાથે મળીને આગળ આવવાનો પ્લાન બનાવી રહ્યા છીએ. આ ગઠબંધન રાજકીય રીતે એક મોટું પરિવર્તન સાબિત થઈ શકે છે.' બંગાળના રાજકારણમાં 'ગેમચેન્જર' બનવાનો દાવો કરતા કબીરે પોતાની નવી પાર્ટીની યોજનાઓ જણાવતા કહ્યું કે, 'હું એક નવી પાર્ટી બનાવીશ જે મુખ્યત્વે મુસલમાનો માટે કામ કરશે. તેમજ આગામી બંગાળ ચૂંટણીમાં 135 બેઠકો પર ઉમેદવારો ઉતારવામાં આવશે. હું AIMIMના સંપર્કમાં છું અને તેની સાથે જ ચૂંટણી લડીશ. મેં ઓવૈસી સાહેબ સાથે વાત કરી છે.' આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે હુમાયુ દ્વારા બેલડાંગામાં પ્રસ્તાવિત બાબરી મસ્જિદના શિલાન્યાસ કાર્યક્રમને લઈને રાજ્યમાં રાજકીય હલચલ વધી છે. આ કાર્યક્રમ સાથે જોડાયેલા વીડિયોમાં મોટી સંખ્યામાં સમર્થકો માથા પર ઈંટો લઈને જમીન પર એકઠા થતા જોવા મળ્યા હતા. આજે પણ મોટી સંખ્યામાં લોકો તે સ્થળે પહોંચીને ઈંટો જમા કરી રહ્યા છે અને દાનપેટીમાં રૂપિયા આપીને નિર્માણ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે.