કોલકાતામાં સરકારી બિલ્ડિંગમાં આગ લાગતાં 4000 EVM બળીને રાખ, રાજકીય કાવતરાની આશંકા

June 12, 2026


બીજા માળે લાગેલી આગ નવમા દસમા માળે કેવી રીતે પહોંચી ગઈ? કોંગ્રેસે પણ આગની ઘટના પર સવાલ ઉઠાવ્યા: 

કોલકાતા : પશ્ચિમ બંગાળના કોલકાતાના અલીપુર વિસ્તારમાં એક સરકારી ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં 4 હજાર EVM બળીને ખાક થઈ ગયા છે. આ અંગે વિપક્ષ દ્વારા આ ઘટનામાં 'મોટા કાવતરા'ની આશંકાઓ વ્યક્ત કરાતા હોબાળો મચી ગયો છે.  આગ બુધવારે દક્ષિણ કોલકાતાના અલીપુર સરકારી ઇમારતમાં લાગી હતી. આ બિલ્ડિંગમાં અન્ય મહત્ત્વના સરકારી વિભાગો ઉપરાંત દક્ષિણ 24 પરગના જિલ્લા પરિષદની ઓફિસ પણ આવેલી છે. બંગાળના મંત્રી કૌશિક ચૌધરીએ ગુરુવારે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું કે, આગ સૌથી પહેલા ઇમારતના બીજા અને ત્રીજા માળે જોવા મળી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ચોથો, પાંચમો અને છઠ્ઠો માળ પ્રભાવિત થયા વિના જ આગ સીધી સાતમા, આઠમા, નવમા અને દસમા માળ સુધી પહોંચી ગઈ!  મંત્રી કૌશિક ચૌધરીએ આ અંગે ગંભીર સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે, આ આગ સામાન્ય લાગતી નથી. અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં કોઈ કાવતરું સામેલ છે કે નહીં. આગ ચોથા, પાંચમા અને છઠ્ઠા માળને નુકસાન પહોંચાડ્યા વિના સીધી સાતમા અને આઠમા માળ સુધી કેવી રીતે પહોંચી? આ સમગ્ર બાબત અત્યારે તપાસ હેઠળ છે.  આ આગમાં સૌથી મોટું નુકસાન લોકશાહીના કિંમતી દસ્તાવેજો સમાન મશીનોને થયું છે. મંત્રીના જણાવ્યા અનુસાર, આ ઇમારતમાં રાખવામાં આવેલા આશરે 4,000 EVM સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ એ જ વોટિંગ મશીનો હતા જેનો ઉપયોગ આ વર્ષે જ રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન 10 વિવિધ મતવિસ્તારોમાં કરવામાં આવ્યો હતો.