અમદાવાદ-લંડન ફ્લાઇટ દુર્ઘટના: 50થી વધુના મૃતદેહ મળ્યા, ફ્લાઇટમાં મોટાભાગના ગુજરાતી મુસાફરો

June 12, 2025

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થતાં બે પાઇલોટ, ક્રૂ મેમ્બર સહિત 50થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઓફ થયું હતું અને 1.40 વાગે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતા વિમાન ક્રેશ થઇ ગયું હતું.  પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. 

અમદાવાદ એરપોર્ટ પર તમામ ફ્લાઇટોનું સંચાલન અનિશ્ચિતકાળ માટે અટકાવી દેવામાં આવ્યું છે. ઘટનાની ગંભીરને જોતાં સિવિલ હોસ્પિટલના તમામ સિનિયર તબીબોને ફરજ પર હાજર થવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મંત્રીઓ સિવિલ આવવા માટે રવાના થઇ ગયા છે. 

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે. જો કે, આ ઘટનામાં જાનહાનિ કે ઈજાગ્રસ્તોનો ચોક્કસ આંકડો હજુ સુધી મળી શક્યો નથી. આ ફ્લાઈટમાં મોટા ભાગના મુસાફરો ગુજરાતી હોવાનું અનુમાન છે.