બુશેહર પ્લાન્ટ પર ચોથો હુમલો! ઈરાનની UNને ફરિયાદ- રેડિયેશન ફેલાયું તો આરબ દેશો પણ થશે બરબાદ

April 05, 2026

બુશેહરમાં ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલા બાદ ઈરાને UNને પત્ર લખ્યો


અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે ન્યૂક્લિયર પ્લાન્ટમાંથી રેડિએશનનો ખતરો મંડરાઈ રહ્યો છે. ઈરાનના બુશેહરમાં ન્યુક્લિયર પ્લાન્ટ પાસે ચોથી વખત હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસને પત્ર લખીને ફરિયાદ કરી છે. પરમાણુ ઉર્જા કેન્દ્ર પર સતત હુમલાને લઈને અરાઘચીએ ચિંતા વ્યક્ત કરી કહ્યું છે કે, જો આ કેન્દ્રોમાંતી રેડિએશન ફેલાશે તો ખાડી દેશોના નાગરિકોનો જીવ ખતરામાં મુકાશે. યુએનને લખેલા પત્રમાં અરાઘચીએ ચેતવણી આપી છે કે, અમેરિકા અને ઈઝરાયલ અમારા પરમાણુ કેન્દ્રો પર હુમલા કરી રહ્યા છે, જેના કારણે રેડિએશન ફેલાવાનો ખતરો વધી ગયો છે. આની અસર માત્ર ઈરાનની સરહદ સુધી જ નહીં, પરંતુ ખાડી દેશોમાં રહેતા લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આના કારણે માનવીય અને પર્યાવરણમાં ગંભીર પરિણામો ઉભા થઈ શકે છે. બુશહર ન્યૂક્લિયર પ્લાન્ટ પાસે ચોથી વખત હુમલો થયો હતો. જો તેમાંથી રેડિએશન ફેલાશે તો માત્ર તહેરાન જ નહીં ખાડી દેશોની રાજધાનીમાં રહેતા લોકો ખતમ થઈ શકે છે.’ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીએ ઈરાન તરફથી પત્ર મળ્યો હોવાની માહિતી આપી છે. જોકે એજન્સીએ કહ્યું કે, હાલ વિકિરણ ફેલાવાના સ્તરમાં કોઈ પણ વધારો થયો નથી. આઈએઈએના મહાનિદેશક રાફેલ ગ્રોસી (IAEA Director General Rafael Grossi)એ પણ પરમાણુ કેન્દ્ર પર હુમલા મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આવા કેન્દ્રો અને આસપાસના વિસ્તારમાં ક્યારેય હુમલો ન કરવો જોઈએ, કારણ કે ત્યાં મહત્ત્વના સુરક્ષા સંબંધીત ઉપકરણો હોઈ શકે છે.


શનિવારે સવારે બુશેહરમાં હુમલો થયા બાદ અરાઘચીએ અમેરિકાઅને ઈઝરાયલ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, જ્યારે યુક્રેનમાં ન્યુક્લિયર પ્લાન્ટ પાસે સૈન્ય કાર્યવાહી થઈ હતી ત્યારે પશ્ચિમ દેશોએ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી, જો કે હાલ ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલા વખતે આવી ચિંતા કરવામાં આવી રહી નથી. અમેરિકા-ઈઝરાયલ ઈરાનના બુશહર ન્યુક્લિયર પ્લાન્ટ પર ચાર વખત બોંબ ઝિંકી ચુક્યા છે. જો આવા હુમલાના કારણે રેડિએશન ફેલાશે તો તહેરાનમાં નહીં પણ, GSS દેશોની રાજધાનીઓમાં જીવન ખતમ થઈ જશે. ઈરાનના પેટ્રોકેમિકલ ઠેકાણાઓ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જે યુદ્ધના વાસ્તવિક ઉદ્દેશ્ય તરફ ઈશારો દેખાઈ રહ્યો છે.’