Breaking News :
સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી ઓડિશામાં જમીન અને મિલકત આપવાના વિરોધમાં પુત્રએ પિતા અને સાવકી માતાની કુહાડી મારી હત્યા કરી ડ્રાઈવરે કાબૂ ગુમાવતા મહારાષ્ટ્રના પંઢરપુરમાં પિકઅપ વાન કૂવામાં ખાબકી: 14 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત એન્જિનની ક્ષમતા ઘટતા અમેરિકાના મિસોરીમાં સ્કાઈડાઈવિંગ પ્લેન ક્રેશ: 12 મુસાફરોના ઘટનાસ્થળે મોત અમેરિકા-ઈરાન યુદ્ધના અંતની જાહેરાતથી વાયદા બજારમાં તેજી: સોનામાં 3300 અને ચાંદીમાં 7000 રૂપિયાનો ઉછાળો મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું: કોંગ્રેસમાં વિલયની ચર્ચા વચ્ચે શરદ પવાર જૂથના 3 નારાજ નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા

મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું: કોંગ્રેસમાં વિલયની ચર્ચા વચ્ચે શરદ પવાર જૂથના 3 નારાજ નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા

June 15, 2026

મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના અને એનસીપીને તોડી પડાયા બાદ ફરી એકવાર મોટી રાજકીય ઉથલપાથલ થવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એક તરફ કોંગ્રેસ હાઈકમાન્ડે શરદ પવારને તેમની પાર્ટીનું કોંગ્રેસમાં વિલય કરવા અંગે પ્રસ્તાવ આપ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ પાર્ટીના 3 ધારાસભ્યોએ ભાજપના રાજ્ય અધ્યક્ષ સાથે મુલાકાત કરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. શિવસેનાના નેતા સંજય રાઉતે અગાઉ સલાહ આપી હતી કે કોંગ્રેસથી અલગ થયેલી પાર્ટીઓએ ફરી કોંગ્રેસમાં જોડાવું જોઈએ. તેમણે ટીએમસી અને શરદ પવારની પાર્ટીના કોંગ્રેસમાં વિલયની પણ વાત કરી હતી. આ મુદ્દે શરદ પવારની પુત્રી અને પાર્ટીના નેતા સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે સંજય રાઉત તેમના માટે મોટા ભાઈ જેવા છે અને તેમણે આપેલી સલાહ સારી છે, જોકે આગળ શું થશે તે સમય જ નક્કી કરશે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આ વાતનું સમર્થન કરતા કહ્યું હતું કે કોંગ્રેસથી અલગ થયેલા પક્ષોએ એકજૂથ થવું જોઈએ અને રાહુલ ગાંધીને ઇન્ડિયા ગઠબંધનના નેતા તરીકે સ્વીકારવા જોઈએ.

બીજી તરફ શરદ પવારની પાર્ટીમાં આંતરિક અસંતોષ પણ સામે આવ્યો છે. સોલાપુર વિધાનસભા બેઠક પર ભાજપના રાજેન્દ્ર રાઉત સામે શરદ પવાર જૂથે વસંતરાવ દેશમુખને ઉમેદવાર બનાવ્યા છે. ટિકિટ વહેંચણીના આ નિર્ણયથી નારાજ ત્રણ ધારાસભ્યોએ ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણ સાથે મુલાકાત કરી છે. ઉત્તમરાવ જાનકર, અભિજીત પાટીલ અને નારાયણ પાટીલે મહાયુતિ નેતાઓની બેઠક દરમિયાન રવિન્દ્ર ચવ્હાણ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેઓ ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળો શરૂ થઈ ગઈ છે. આ નારાજ ત્રણેય ધારાસભ્યોએ અગાઉ પણ જાહેરમાં પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો અને ભાજપના ઉમેદવારને સમર્થન આપવાના સંકેતો પણ આપ્યા હતા.

વસંતરાવ દેશમુખને સાંસદ ધૈર્યશીલ મોહિતે પાટીલના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. તેથી આ 3 ધારાસભ્યોની નારાજગીને મોહિતે પાટીલ માટે પણ મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસમાં વિલયની ચર્ચા અને ધારાસભ્યોની નારાજગી વચ્ચે શરદ પવારની પાર્ટીની અંદરની સ્થિતિને લઈને મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા તેજ બની ગઈ છે.