પાકિસ્તાનમાં બલકસાર નજીક બસ ખાડામાં ખાબકતા 9 લોકોના મોત, 30થી વધુ ઘાયલ

July 28, 2025

પાકિસ્તાનમાં રવિવારે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. ઇસ્લામાબાદથી લાહોર જઈ રહેલી એક બસ પંજાબ પ્રાંતના ચકવાલ જિલ્લામાં બલકસાર નજીક ખાડામાં ખાબકતા ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે અને 30 થી વધુ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ આ દુર્ઘટના અંગે માહિતી આપી હતી. બસમાં 40 થી વધુ મુસાફરો સવાર હતા.

ચકવાલ ઈમરજન્સી સેવાઓના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, બસનું એક ટાયર ફાટી જતાં ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું જેના કારણે વાહન પલટી ગયું અને ખાઈમાં પડી ગયું. ચકવાલ જિલ્લા આરોગ્ય પ્રાધિકરણ (DHA) ના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. સઈદ અખ્તરે એક નિવેદનમાં જણાવ્યું કે, દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે અને 30 અન્ય ઘાયલ થયા છે. 8 મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે એક વ્યક્તિએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. .

પાકિસ્તાન પંજાબ પ્રાંતના CM મરિયમ નવાઝે આ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. નોંધનીય છે કે, આ જ વર્ષે એપ્રિલ મહિનામાં પણ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક દર્દનાક અકસ્માત થયો હતો. આ સઅકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત 11 લોકોના મોત થયા હતા. તે સમયે એક પેસેન્જર બસ અને એક થ્રી-વ્હીલર વાહન વચ્ચે ઝારાનવાલામાં દુર્ઘટના થઈ હતી.