એઆઈને સક્ષમ કરતી શોધ માટે બે વિજ્ઞાનીઓને નોબેલ પારિતોષિક

October 09, 2024

સ્ટોકહોમ : આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)માં બે પાયોનીયર જોન હોપફીલ્ડ અને જ્યોફ્રી હિન્ટનને ઉદ્યોગો અને દૈનિક જીવનમાં ક્રાંતિ લાવનાર મશીન લર્નિંગમાં તેમના ફાળા માટે ફીઝીક્સમાં ૨૦૨૪નું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું છે. તેમના કાર્યએ આધુનિક એઆઈમાં મહત્વના ઘટક આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક માટે પૃષ્ઠભૂમિ તૈયાર કરી હતી. એનો ઉપયોગ ચહેરાની ઓળખ અને ભાષાંતર જેવા ક્ષેત્રોમાં કરવામાં આવે છે. એઆઈના ગોડફાધર તરીકે ઓળખાતા હિન્ટન ટોરન્ટોની યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે જ્યારે હોપફીલ્ડ પ્રિન્સટન યુનિવર્સિટી ખાતે પ્રોફેસર છે.નોબેલ કમિટીએ જણાવ્યું કે હોપફિલ્ડ અને હિન્ટને આંકડાકીય ભૌતિકશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોનો ઉપયોગ એઆઈ પદ્ધતિઓ વિકસાવવા માટે કર્યો જે મશીનોને મોટા ડેટા સેટમાં પેટર્નને ઓળખવા અને સહયોગી યાદો તરીકે કાર્ય કરવા સક્ષમ બનાવે છે. રોયલ સ્વીડીશ એકેડમી ઓફ સાયન્સીસના સભ્ય એલેન મૂન્સે જણાવ્યું કે તેમના કાર્યએ સંશોધન ઉપરાંત લોકોના વપરાશમાં આવતી દૈનિક ટેકનોલોજીને પણ પ્રભાવિત કર્યા છે.જો કે મશીન લર્નિંગના ઝડપી વિકાસ સાથે તેના નૈતિક વપરાશ અને સંભવતિ જોખમો બાબતે સવાલો પણ ઉપસ્થિત થયા છે. મૂન્સે જણાવ્યું કે એઆઈનો ઉપયોગ તમામના લાભ માટે જવાબદારીપૂર્વક થાય તે સમાજે સુનિશ્ચિત કરવું પડશે. હિન્ટને પોતે પણ આ ચિંતાઓને સમર્થન આપ્યું હતું અને સીસ્ટમો માનવી બૌદ્ધિક ક્ષમતાથી આગળ નીકળી જાય અને નિયંત્રણ બહાર જતી રહેવાની સંભાવના જેવા એઆઈના જોખમો બાબતે છૂટથી બોલવા ગૂગલમાં પોતાના પદનો ત્યાગ કર્યો હતો.એઆઈના ભાવિ વિશે ચિંતિત હોવા છતાં હિન્ટને નોબેલ પારિતોષિક મળવા પર આશ્ચર્ય અને આભાર વ્યક્ત કર્યા હતા. તેમણે આગાહી કરી હતી કે એઆઈનો સમાજ અને સંસ્કૃતિ પર ગાઢ પ્રભાવ પડશે. તેમણે એઆઈની ઔદ્યોગિક ક્રાંતિ સાથે સરખામણી કરીને તેનાથી ઉત્પાદન તેમજ આરોગ્ય સંભાળમાં સુધારો થવાની અપેક્ષા રાખી હતી.લગભગ એક કરોડ સ્વીડીશ ક્રોનરના રોકડ સહિતનું નોબેલ પારિતોષિક નોબેલ વિજેતાઓને ૧૦ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ આપવામાં આવશે.