પૂણે દુર્ઘટના: વોટરફોલ સાથે સેલ્ફીની હોડમાં અનેકે ગુમાવ્યા જીવ

June 15, 2025

પૂણે : પુણેના કુંદમાલા વિસ્તારમાં આવેલી ઈન્દ્રાયણી નદી પરનો જર્જરિત બ્રિજ અચાનક ધરાશાયી થતાં 25થી 30 લોકો તણાયા હોવાની આશંકા છે. જેમાં બેના મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે છથી સાત લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સેલ્ફી લેવાના ચક્કરમાં મોટી સંખ્યામાં પર્યટકો બ્રિજ પર એકત્રિત થઈ જતાં બ્રિજ પડી ભાંગ્યો હોવાના પ્રારંભિક અહેવાલો મળ્યા છે.
માવલ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો હતો. ભારે વરસાદના કારણે ઈન્દ્રાયણી નદીનું જળ સ્તર વધ્યું હતું. સુંદર વહી રહેલા ઝરણાંના રમણીય કુદરતી દ્રશ્યો જોવા પર્યટકો આ પ્રવાસન સ્થળ કુંદમાલાની મુલાકાતે આવ્યા હતા. જૂનો-જર્જરિત લોખંડના બ્રિજ પર લોકો તસવીરો ક્લિક કરવા તેમજ સેલ્ફી લેવા ઉમટી પડ્યા હતાં. બ્રિજ તૂટ્યો ત્યારે તેની ઉપર 100થી વધુ લોકો ઉપસ્થિત હતાં. એક ભયાવહ અવાજ સાથે બ્રિજનો એક હિસ્સો અચાનક ધરાશાયી થયો હતો. જેથી નદીના પ્રવાહમાં લોકો તણાયા હતા.
આ દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો, એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ ફાયર બ્રિગેડની ટીમ બચાવ કામગીરી માટે દોડી આવી હતી. જેમાં 25થી 30 લોકો તણાયા હોવાની આશંકા છે. જ્યારે બે મૃતદેહો મળી આવ્યા હતાં. પાંચથી છ લોકોને બચાવી પણ લેવામાં આવ્યા છે. હજુ બચાવ કામગીરી અને શોધ-ખોળ ચાલુ છે. વરસાદના કારણે બચાવ કામગીરીમાં અવરોધો નડી રહ્યા છે.