3 ભારતીયના મોત મુદ્દે રાહુલનો આક્રોશ, કહ્યું મોદીમાં હિંમત નથી કે અમેરિકા વિરુદ્ધ એક શબ્દ બોલે

June 12, 2026

દિલ્હી ઃ અમેરિકાની સેનાએ મધ્ય-પૂર્વમાં ઓમાન સમુદ્રકાંઠા પાસે ત્રણ ભારતીય કોમર્શિયલ જહાજો પર હુમલો કરતાં ત્રણ ભારતીયોના મોત થયા બાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે ત્રણ ભારતીયોના મોત બદલ દુઃખ વ્યક્ત કર્યું છે. રાહુલે અમેરિકન હુમલાની ટીકા કરવાની સાથે વડાપ્રધાન પર પ્રહાર કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં હિંમત નથી કે, તેઓ અમેરિકા વિરુદ્ધ એક શબ્દ બોલે.
રાહુલે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, ‘અમેરિકાએ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ત્રણ દિવસમાં ત્રણ જહાજો પર હુમલા કર્યા, જેમાં ત્રણ ભારતીયોના મોત થયા છે અને આપણા કોમ્પ્રોમાઇઝ પીએમ? એક શબ્દ બોલતા નથી.’
કોંગ્રેસ સાંસદો વધુમાં કહ્યું કે, ‘જ્યારે વિદેશી શક્તિ ભારતીયની હત્યા કરે ત્યારે વડાપ્રધાને જવાબ આપવો પડે છે. જોકે તેમની હિંમત જ નથી કે, તેઓ એક પણ શબ્દ બોલે. આપણા ભારતીય ક્રૂ મેમ્બરોની હત્યાના થોડા દિવસ બાદ, આગામી અઠવાડિયે G7 યોજાવાની છે, જેમાં મોદીજી હસતાં જોવા મળશે, લોકોને ગળે મળશે અને કરારો કરશે. પરંતુ મૃત્યુ પામેલા ત્રણ ભારતીયો માટે તેમની પાસે એક શબ્દ નહીં હોય. કોમ્પ્રોમાઇઝ્ડ PM ભારત માતાના પુત્રોની રક્ષા કરી શકતા નથી, કારણ કે, જે લોકોએ આ પુત્રોના જીવ લીધા, તેમને નારાજ કરવામાં તેમની હિંમત પણ નથી અને તાકાત પણ નથી.’


કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલે (11 જુલાઈ) ત્રણ ભારતીય ક્રૂ મેમ્બર્સની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. પાર્ટીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે. મીડિયા વિભાગના પ્રમુખ પવન ખેડાએ કહ્યું કે, આ મામલે જવાબદારી સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે રાજદ્વારી પગલા ભરવા જોઈએ.'


ઉલ્લેખનીય છે કે, હોર્મુઝની ખાડીમાં ઈરાન પછી અમેરિકાની દાદાગીરી હદ વટાવી રહી છે. ભારતે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ  જહાજ પર અમેરિકન નૌકાદળે હુમલો કર્યો હતો. તેમા એક હુમલામાં ત્રણ ભારતીયોના મોત થયા હતા. આ ત્રણેય જહાજ વિદેશી જહાજ હતા. ભારતે આ ઘટનાનો આકરો વિરોધ કર્યો છે અને આ મુદ્દો છેક યુએનમાં ઉઠાવ્યો છે અમેરિકા પાસે પણ આ અંગે જવાબ માંગ્યો છે. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે આ હુમલા અટકવા જોઈએ. અમેરિકાએ 10 જૂનના રોજ સેટેબિલો જહાજ પર કરેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓએ જીવ ગુમાવ્યા છે. પહેલો હુમલો 8મી જૂનના રોજ ઓમાનના પૂર્વી કિનારે થયો હતો. અહીં અમેરિકન નૌકાદળે પ્રતિબંધિત ટેન્કર મેરીવેક્સ પર મિસાઇલથી હુમલો કર્યો હતો. આ જહાજ પર 24 ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા. સદનસીબે તેમા કોઈના જીવ ગયા ન હતા. અમેરિકાએ જહાજ પરના હુમલામાં બે હેલફાયર મિસાઇલનો ઉપયોગ કર્યો હોવાની વાત કબૂલી હતી. તેના પગલે પણ સનસનાટી મચી ગઈ છે.