ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવતા મહાબળેશ્વર નજીક સ્કોર્પિયો 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 8 યુવકોના મોત

May 25, 2026

મહારાષ્ટ્રના પ્રખ્યાત હિલ સ્ટેશન મહાબળેશ્વર નજીક વહેલી સવારે અંધારામાં ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવતા એક ભયાનક અકસ્માત સર્જાયો છે. કોંકણથી પરત ફરી રહેલા પ્રવાસીઓની એક સ્કોર્પિયો કાર અનિયંત્રિત થઈને આશરે 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દર્દનાક દુર્ઘટનામાં સતારાના 8 યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. ખીણ અતિશય ઊંડી હોવાના કારણે દૂરબીનની મદદથી મૃતદેહોની શોધખોળ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર, આ અકસ્માત રાયગઢના આંબેનલી ઘાટ પર રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ આશરે 2:45 વાગ્યે થયો હતો. અકસ્માતનો ભોગ બનેલી કાર સતારા જિલ્લાના કોરેગાંવ તાલુકાના આસગાંવની છે. આ તમામ યુવકો કોંકણના હરણાઈ બીચથી ફરીને વહેલી સવારે પોલાદપુર માર્ગ થઈને સતારા તરફ પરત ફરી રહ્યા હતા. પોલાદપુર પોલીસ સ્ટેશનના અધિકારી આનંદ રાવડેએ જણાવ્યું કે, વહેલી સવારે અંધારામાં કાર પરથી નિયંત્રણ ગુમાવવાને કારણે કાર સીધી ઊંડી ખીણમાં પડી ભાંગી હતી.

આ દુર્ઘટના એ જ જગ્યાની આસપાસ બની છે, જ્યાં વર્ષ 2018માં દાપોલી કૃષિ યુનિવર્સિટીની બસ ખીણમાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલાદપુર પોલીસની ટીમ સહિત મહાબળેશ્વર ટ્રેકર્સ, પ્રતાપગઢ રેસ્ક્યુ ટીમ, સિસ્કેપ મહાડ પોલાદપુર, આપદા મિત્ર અને સ્થાનિક લોકોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ખીણ ખૂબ જ ઊંડી હોવાના કારણે શરૂઆતમાં બચાવ દળે દૂરબીનની મદદથી તપાસ કરતા પહેલો મૃતદેહ દેખાયો હતો. અતિશય મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે રેસ્ક્યુ ટીમને આશરે 500 થી 700 ફૂટની ઊંડાઈએથી 2 મૃતદેહો બહાર કાઢવામાં સફળતા મળી છે.