પ્લેન ટેલમાંથી આજે વધુ એક મૃતદેહ મળ્યો:પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઇ

June 14, 2025

અમદાવાદ : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને કલાકો વિતી ચૂક્યા છે પરંતુ, હજી DNA રિપોર્ટ આવવાનો બાકી હોવાથી મૃતકોના પરિજનો મૃતદેહ મળવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ જેમ જેમ રિપોર્ટ આવી રહ્યાં છે તે પ્રમાણે સ્વજનોને મૃતદેહો સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.

પ્લેનનો કાટમાળ નીચે ઉતારતા સમયે પ્લેનના પાછળના ભાગમાંથી આજરોજ વધુ એક મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ પ્લેનની ટેલમાં ફસાયેલો હતો જેને નીચે ઉતારી પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક રીતે આ મૃતદેહ એર હોસ્ટેસનો હોવાની આશંકા છે.

અમદાવાદ સિવિલમાં અત્યાર સુધીમાં 250 લોકોના DNA માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. જુનિયર ડોક્ટર્સ એસો. દ્વારા એક સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પ્લેન દુર્ઘટનામાં હોસ્ટેલમાં રહેલા 4 MBBSના વિદ્યાર્થીઓના મોત થયા હોવાની પુષ્ટી કરી છે. દિવંગત વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી આજે વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા બાદ ગાંધીનગર ખાતે સ્થિત તેમના ઘરે રોકાયા છે. જેઓ સવારે 11 વાગ્યે બ્લડ સેમ્પલ આપવા સિવિલ પહોંચશે.

શુક્રવારે દિવસભર સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ પર જ્યાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે રાત પડતા જ એકલ દોકલ લોકો જ જોવા મળ્યા હતા. રાત્રિના સમયે વાહનવ્યવહાર માટે પણ રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

12 જૂનના રોજ બપોરે 1.38 વાગ્યે 40થી 42 ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નં-171 ટેક ઓફ થઈ હતી. ટેક ઓફ થયા બાદ 1.40 વાગ્યે મેઘાણીનગરના ઘોડાકેમ્પ ખાતે IGP કમ્પાઉન્ડ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતાં પ્લેન ક્રેશ થઈ ગયું હતું, જેમાં સ્ક્રૂ-મેમ્બર્સ, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ 242 મુસાફર હતા, 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ-મેમ્બર હતા. ફ્લાઇટમાં સવાર ક્રૂ- મેમ્બર અને પ્રવાસીઓ મળીને 241નાં મોત થયા છે. જ્યારે ડોકટર્સની હોસ્ટેલ અને આસપાસના વિસ્તારમાં હાજર રહેલા અન્ય લોકોના પણ મોત નિપજ્યા હતા.