વિમાન દુર્ઘટનામાં મૃતકોની બોડી માટે 100 કોફીન બનાવવા વડોદરાની સંસ્થાને સૂચના : આજે રાત સુધીમાં 50 મોકલવા તાકીદ

June 14, 2025

અમદાવાદમાં સર્જાયેલી ઇન્ડિયન એરલાઇન્સના વિમાન ક્રેશની દુર્ઘટનામાં 290 જેટલા વ્યક્તિઓના કરુણ મોત નીપજતા પરિવારજનોને પોતાના સ્વજનના પાર્થિવ દેહને સોંપવા માટે વડોદરાની સંસ્થાને એર ઇન્ડિયા દ્વારા 100 કોફીન બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જે પૈકીના 25 કોફીન આજે બપોરે 3 વાગ્યા સુધીમાં અને બાકીના કોફીન આજે રાત સુધીમાં અમદાવાદ ખાતે રવાના કરાશે.  આ અંગે કોફીન બનાવનાર સંસ્થાન અગ્રણી એડવિનભાઈએ જણાવ્યું હતું કે, એક કોફીન બનાવતા બે થી ત્રણ કલાક જેટલો સમય લાગે છે. કુલ સાતથી આઠ વ્યક્તિની ટીમ કોફીન બનાવી રહી છે. કારણ કે એક સાથે મોટી સંખ્યામાં દુર્ઘટનાના મૃતકો માટે કોફીન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આવી દુર્ઘટના અંગે મન પણ માનવા તૈયાર નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું. મૃતકોના અવશેષો કોફીનમાં રહે એ રીતે લાકડામાંથી બનાવવામાં આવે છે. તેની લેન્થ અને હાઈટ બાબતે ખાસ ધ્યાન રાખવું પડે છે. મૃતક કઈ હાલતમાં છે તેની કોઈને ખબર નથી. પરિણામે હાઈટનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. કોફીન તૈયાર થયા બાદ તેની અંદર પ્લાસ્ટિકની બેગ મૂકવામાં આવે છે જેથી મૃતકના શરીરનું પાણી કે જંતુ કોઈને ના લાગે એવા ઇરાદે બેગ મૂકવામાં આવે છે. કારીગરોએ ગઈ મોડી રાત સુધી જાગીને 25 કોફીન બનાવ્યા છે જે આજે ત્રણ વાગ્યા સુધીમાં અમદાવાદ રવાના કરાશે ત્યારબાદ બાકીના કોફીન રાત સુધીમાં રવાના કરાશે. કુલ 100 કોફીન બનાવવાના છે.