ઓરિસ્સાનો એન્જિનિયર નીકળ્યો 'કરપ્શન કિંગ', ભુવનેશ્વરમાં કરોડોની રોકડ, 5 બંગલા અને 13 પ્લોટ,

June 07, 2026

ભુવનેશ્વર- ભુવનેશ્વરના વિશેષ વિજિલન્સ જજ દ્વારા જાહેર કરાયેલા સર્ચ વોરંટના આધારે વિજિલન્સની ટીમોએ ભુવનેશ્વર, બારીપદા, જાજપુર જિલ્લાના ધર્મશાલા અને બાલીગુડામાં કુલ 9 સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા હતા. આ ટીમમાં 2 એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ASP), 5 ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP), 6 ઇન્સ્પેક્ટર અને અન્ય સહાયક સ્ટાફ સામેલ હતો. કાર્યવાહી દરમિયાન વિજિલન્સ અધિકારીઓને ભુવનેશ્વરના ચંદ્રશેખરપુરમાં એક 4 માળની ઇમારત, શૈલાશ્રી વિહારમાં એક 3 માળની ઇમારત અને પટિયામાં એક 2 માળનું મકાન મળી આવ્યું હતું. અધિકારીઓએ 13 જમીનોની ઓળખ કરી છે, જેમાં ભુવનેશ્વરના પ્રાઇમ લોકેશનમાં 7 પ્લોટ અને અન્ય પ્લોટ જાજપુર તેમજ બારીપદામાં આવેલા છે.


તપાસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે, પરિવાર સાથે જોડાયેલા બેંક લોકર્સમાંથી આશરે 2 કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી. આ પહેલાં, ઘરની તપાસ દરમિયાન 2.66 લાખ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી હતી. સોનાના દાગીના, બેંક ડિપોઝિટ, પોસ્ટલ સેવિંગ્સ, રોકાણ અને અન્ય નાણાકીય વ્યવહારોનું મૂલ્યાંકન હાલમાં ચાલી રહ્યું છે. ટેકનિકલ નિષ્ણાતો દ્વારા આ મકાનો અને જમીનોની બજાર કિંમત (માર્કેટ વેલ્યુ) નો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે. વિજિલન્સ અધિકારીઓએ જણાવ્યું કે, 'ચંદ્રશેખરપુરમાં વધુ એક 2 માળની ઇમારત અને જાજપુર જિલ્લાના ધર્મશાલા વિસ્તારમાં પૈતૃક જમીન પર બનેલું એક 2 માળનું મકાન પણ શોધી કાઢવામાં આવ્યું છે. હાલમાં બારીપદા અને પાંડુઆમાં બેહરાના સંબંધીઓના નિવાસો તેમજ બાલીગુડામાં તેમની ઓફિસ અને સરકારી ક્વાર્ટર પર સર્ચ ઓપરેશન ચાલુ છે.'