રાજકોટ: મંત્રી ભાનુબેન બાબરીયાના ગઢમાં મોટો ઉલટફેર, ચાંદલી બેઠક પર AAPનો 6 મતે વિજય

April 28, 2026

રાજકોટ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરી રહી છે. રાજકોટ ગ્રામ્યમાં AAPએ મોટો ઉલટફેર કર્યો હતો. ગુજરાત સરકારના મંત્રી ભાનુબેન બાબરીયાના મતવિસ્તારની ચાંદલી તાલુકા પંચાયત બેઠક પર AAPના ઉમેદવાર રમાબેન બગડાનો 6 મતોથી વિજય થયો હતો. આ બેઠક પર તેમણે ભાજપના વૈશાલિબેન પરમારને હરાવ્યા હતા. ભાજપનો ગઢ ગણાતા આ વિસ્તારમાં AAPએ જીત મેળવી છે. આ ઉપરાંત લોધીકા તાલુકા પંચાયતની ચીભડા સીટ પર પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારનો 574 મતોથી વિજય થયો છે. લોધીકા તાલુકા પંચાયતમાં AAPને બીજી સીટ મળી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 26,196 બેઠકો પર ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57% મતદાન થયું હતું. રાજ્યની 15 મહાનગરપાલિકામાં 49% અને 84 નગરપાલિકામાં 59% મતદાન થયું હતું, જ્યારે 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતોમાં અનુક્રમે 61% જેટલું મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચે 24 એપ્રિલે જાહેર કરેલી અખબારી યાદી પ્રમાણે, લોકસભા અને વિધાનસભાનો લિટમસ ટેસ્ટ ગણાતી આ ચૂંટણીમાં કુલ 732 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા.