નેતન્યાહૂની ઓફિસ પર મિસાઈલ હુમલાનો દાવો, અબુ ધાબીમાં 9 માર્ચ સુધી મંદિર બંધ, ઈરાનના પરમાણુ ઠેકાણે હુમલો!

March 02, 2026

મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ ફાટી નીકળ્યું છે. અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પરના હુમલાનો આજે બીજો દિવસ છે અને સ્થિતિ પળેપળે વધુ ભયાનક બની રહી છે. ઈરાને વળતા પ્રહારમાં કુવૈત અને બહેરીન જેવા દેશોમાં અમેરિકી સૈન્ય ઠિકાણાઓને નિશાન બનાવ્યા છે.

ઈરાની સેના આઈઆરજીસીએ મોટો દાવો કરતાં કહ્યું છે કે ઈરાનની મિસાઈલોએ હવે સીધા ઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂના કાર્યાલયને નિશાન બનાવ્યું છે. જોકે ઈઝરાયલે આ દાવો ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે ઈરાનની ખૈબર મિસાઈલ અહીં સુધી પહોંચી જ નથી શકી. જોકે ઈઝરાયલના ઘણા વિસ્તારોમાં હાલમાં મિસાઈલ હુમલાના એલર્ટને લઈને સાયરન વાગી રહ્યા છે. 

અબુ ધાબીમાં આવેલા મંદિરને 9 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને યુદ્ધની સ્થિતિને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓ 9 માર્ચ સુધી મંદિરની મુલાકાત લઈ નહીં શકે. 

યુદ્ધ વચ્ચે ઈરાને એક મોટો દાવો કર્યો છે. ઈરાનના રાજદૂતે IAEA પર જવાબ આપ્યો કે, 'રવિવારે અમેરિકા-ઈઝરાયલે અમારા પરમાણુ મથક પર હુમલો કર્યો છે. ઈસ્ફહાન શહેરમાં નતાન્જ ન્યૂક્લિયર ફેસિલિટી પર હુમલો થયો છે.' સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઈરાનમાં પરમાણુ રેડિયેશન ચેતવણી જાહેર કરાઈ છે. IAEA કહે છે કે ઘણા શહેરો ખાલી કરાવવા પડી શકે છે તેવો દાવો કરાયો છે.

ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં અમેરિકાને મોટું નુકસાન થયાની માહિતી સામે આવી રહી છે. હવે કુવૈતે સ્વીકાર્યું છે કે અમેરિકાના એક કે બે નહીં પણ ઘણાં ફાઈટર જેટ તોડી પાડવામાં આવ્યા છે. ઈરાન દ્વારા સતત આક્રમક રીતે હુમલા કરવામાં આવી રહ્યા છે.  

સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો અનુસાર સાઉદી અરબમાં પણ ઈરાન સમર્થક હૌથીઓએ યમનથી સીધો હુમલો કર્યો હતો. આ હુમલામાં સાઉદીની સૌથી મોટી ઓઈલ રિફાઇનરી અરામકોને નિશાન બનાવવામાં આવી હતી.