ગંભીરમાં જીતવાનો જુસ્સો છે, તેણે પોતાનું વલણ નરમ રાખવાની જરૂર છે : સાૈરવ ગાંગુલી

March 24, 2026

T20 વર્લ્ડ કપ 2026માં ભારતની જીત બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરની ખૂબ પ્રશંસા થઈ રહી છે. તેના કાર્યકાળમાં ભારતે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે અને ટીમે ફરી એક વાર ICC ખિતાબ જીત્યો છે. જોકે, આ વચ્ચે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ગંભીરને કેટલીક મહત્વપૂર્ણ સલાહ આપી છે. ગાંગુલીનું માનવું છે કે, ગંભીરમાં જીતવાનો જુસ્સો છે, પરંતુ તેણે પોતાનું વલણ થોડું નરમ રાખવાની જરૂર છે.

ગાંગુલીએ કહ્યું કે, 'ગૌતમ ગંભીર ખૂબ જ સ્પર્ધાત્મક વ્યક્તિ છે અને તે કોઈપણ કિંમતે જીતવા માગે છે. આ જ બાબત તેને અન્ય લોકોથી અલગ બનાવે છે. જોકે તેના મતે ગંભીરને અસરકારક બનવા માટે વધુ પડતા સખ્ત કે કઠોર બનવાની જરૂર નથી.' ગાંગુલીએ એમ પણ કહ્યું કે, 'ગંભીર એક સારો વ્યક્તિ છે.'

સૌરવ ગાંગુલીએ ગંભીરની એક વાતની ખૂબ પ્રશંસા પણ કરી. તેમણે કહ્યું કે, ગંભીરે ટીમમાં 'ટીમ-ફર્સ્ટ' માનસિકતાને મજબૂત બનાવી છે. આનો અર્થ એ છે કે ધ્યાન કોઈ એક સ્ટાર ખેલાડી પર નહીં, પરંતુ સમગ્ર ટીમના સામૂહિક પ્રદર્શન પર રહ્યું છે. આ કોઈપણ સફળ ટીમની મોટી ઓળખ હોય છે. ગાંગુલીનું માનવું છે કે ગંભીર આ મામલે સારું કામ કરી રહ્યો છે અને આ જ કારણે ભારતને સફેદ બોલ ક્રિકેટમાં સફળતા મળી છે.