'જહાજોમાં આગ લગાવી દઇશું', ઈરાનની ખુલ્લી ધમકીથી ભારત સહિત અનેક દેશોની ચિંતા વધી

March 03, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. ઈરાને વિશ્વના સૌથી મહત્ત્વના દરિયાઈ માર્ગ પૈકીના એક એવા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'(હોર્મુઝ સામુદ્રધુની)ને બંધ કરી દીધો છે. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્સ(IRGC) એ ચેતવણી આપી છે કે જો કોઈ પણ જહાજ આ માર્ગ પરથી પસાર થવાનો પ્રયત્ન કરશે, તો તેને આગ લગાવી દેવામાં આવશે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે હવે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા તૈયાર નથી, જ્યારે બીજી તરફ અમેરિકન પ્રમુખ અને તેમનું વહીવટીતંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

હોર્મુઝ સ્ટ્રેટ એ ફારસની ખાડીને અરબ સાગર સાથે જોડતો એક અત્યંત સાંકડો દરિયાઈ માર્ગ છે. વિશ્વના કુલ તેલ વપરાશનો અંદાજે 20% હિસ્સો આ માર્ગ પરથી પસાર થાય છે. સાઉદી અરેબિયા, ઈરાક, કુવૈત, યુએઈ અને કતાર જેવા મુખ્ય ઊર્જા ઉત્પાદક દેશો પોતાના નિકાસ માટે આ જ રસ્તા પર નિર્ભર છે. આ માર્ગ બંધ થવાને કારણે વૈશ્વિક અર્થતંત્ર થંભી શકે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે.

ભારત માટે આ સમાચાર અત્યંત ચિંતાજનક છે, કારણ કે ભારત પોતાની જરૂરિયાતનું 80%થી વધુ ક્રૂડ ઓઈલ આયાત કરે છે અને તેનો મોટો હિસ્સો ખાડી દેશોમાંથી હોર્મુઝના માર્ગે જ આવે છે. જો આ પુરવઠો ખોરવાય, તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી શકે છે, જેના કારણે મોંઘવારી વધવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત, આયાત ખર્ચ વધવાને કારણે ભારતની ચાલુ ખાતાની ખાધ પર પણ વિપરીત અસર પડશે.