જયશંકરને રાહુલ ગાંધીએ ત્રણ સવાલ પૂછ્તા રાજકીય ઘમસાણ સર્જાયું

May 23, 2025

દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂર અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરને ત્રણ સવાલ પૂછ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ત્રણ સવાલ કરતા જ રાજકીય ઘમસાણ સર્જાયું છે અને ભાજપના નેતાઓએ તેમના પર પ્રહાર શરૂ કરી દીધા છે. આ સવાલો કરતા રાહુલ ગાંધીએ લખ્યું છે કે, શું ‘જેજે’ આ એક્સપ્લેઇન કરશે? નોંધનીય છે કે, ‘જેજે’ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે જયચંદ એટલે કે ગદ્દાર માટે કરવામાં આવે છે. 
આ ટ્વિટમાં રાહુલ ગાંધીએ ત્રણ સવાલ કર્યા છે. 
1. ભારતને પાકિસ્તાનના સ્તરે કેમ મૂકી દીધું? 
2. પાકિસ્તાનને ઠપકો આપવામાં કેમ બીજા કોઈ દેશે ભારતને સાથ ના આપ્યો? 
3. ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાનું કોણે કહ્યું હતું? 
આ સવાલ કરતા જ ભાજપે રાહુલ ગાંધી પર આક્રમક પ્રહાર કર્યા હતા. ભાજપના પ્રવક્તા રાહુલ ભાટિયાએ કહ્યું કે, ‘રાહુલ ગાંધીએ ભારતીય સશસ્ત્ર દળોની શક્તિને ઓછી આંકવાનું અને સુરક્ષાને ખતરામાં નાખવાનું બંધ કરવું જોઈએ. ઈસ્લામાબાદ દ્વારા ભારત-પાકિસ્તાન ઘર્ષણ (India-Pakistan Controversy) પર કોંગ્રેસ નેતાની ટિપ્પણીઓનો ઉપયોગ ભારતને બદનામ કરવા માટે થઈ રહ્યો છે. રાહુલ ગાંધી, તમે નિર્ણય કરો કે તમે કોની તરફ છો. તમારે નિર્ણય કરવો પડશે કે, તમે ભારતના વિપક્ષના નેતા છો કે, પાકિસ્તાનના નિશાન-એ-પાકિસ્તાન છો.’


રાહુલ ગાંધીએ 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ત્રણ સવાલ કર્યા હતા. તેમણે વડાપ્રધાનના ભાષણનો એક ભાગ X પર શેર કરીને ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. 23 સેકન્ડના આ વીડિયોમાં, વડાપ્રધાન મોદી કહે છે કે, 'જ્યારે પાકિસ્તાને કહ્યું કે તે હવે કોઈ આતંકવાદી પ્રવૃત્તિઓ કે સૈન્ય કાર્યવાહી નહીં કરે, ત્યારે ભારતે પણ તેના પર વિચાર કર્યો.' આ મુદ્દે રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવતાં લખ્યું કે, 'મોદીજી, પોકળ ભાષણો આપવાનું બંધ કરો.'


રાહુલ ગાંધીએ વડાપ્રધાનના ભાષણમાં એક વાક્ય પર કટાક્ષ કર્યો હતો. જેમાં વડાપ્રધાને 'લોહી ઉકળવા' અંગે વાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ ત્રણ પ્રશ્ન પૂછ્યા હતા કે, 'મોદીજી, મને ફક્ત એટલું કહો કે... 1. તમે આતંકવાદ પર પાકિસ્તાનના નિવેદન પર કેમ વિશ્વાસ કર્યો?'  2. ટ્રમ્પ સામે ઝૂકીને તમે ભારતના હિતોનું બલિદાન કેમ આપ્યું? 3. તમારું લોહી ફક્ત કેમેરા સામે જ કેમ ઉકળે છે? તમે ભારતના સન્માન સાથે ચેડાં કર્યા છે!