પૂણે લઠ્ઠાકાંડમાં 15થી વધુના મોત: ફડણવીસનો કડક કાર્યવાહીનો આદેશ

May 29, 2026

પૂણે - મહારાષ્ટ્રના પૂણે અને પિંપરી-ચિંચવાડ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ગેરકાયદે દારૂનું સેવન કરવાના કારણે અત્યાર સુધીમાં 15 લોકોના કરુણ મોત થયા છે. આ આખી ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સમગ્ર મામલે અધિકારીઓને કડક કાર્યવાહીના આદેશ આપી દીધા છે. 
આ ભયાનક લઠ્ઠાકાંડમાં પૂણેના ફુગેવાડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે. અહીં ઝેરી દારૂ પીવાના કારણે એક જ પરિવારના બે સગા ભાઈઓનું મોત થઈ ગયું છે. બંને ભાઈઓના ટૂંકા ગાળામાં જ ટપોટપ મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઝેરી દારૂના કારણે ટપોટપ મોતના કિસ્સા પ્રકાશમાં આવતાં જ પોલીસ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને એક મુખ્ય શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. આ ઝેરી દારૂ ક્યાંથી આવ્યો, કોણે બનાવ્યો અને કોના દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો, તે આખા ગેરકાયદે નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસે અલગ-અલગ જગ્યાએ તપાસ તેજ કરી દીધી છે. તંત્ર દ્વારા સ્થાનિક લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે કોઈપણ અજાણી કે ગેરકાયદે જગ્યાએથી મળતા આવા નશીલા પદાર્થોનું સેવન ન કરે.


મહારાષ્ટ્રના પૂણે અને પિંપરી-ચિંચવાડમાં ગેરકાયદેસર ઝેરી દારૂના કારણે 13 લોકોના સત્તાવાર મોત(જ્યારે 18 શંકાસ્પદ મોત) થતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બંને શહેરના પોલીસ કમિશનરોને આ મામલે સહેજ પણ નરમાશ રાખ્યા વિના કડક ઓપરેશન ચલાવવાના આદેશ આપ્યા છે. ફડણવીસે પત્રકારોને જણાવ્યું કે, આ ઘટનાને સામાન્ય અકસ્માત કે બેદરકારી નહીં પરંતુ હત્યા ગણીને આરોપીઓ સામે કડક કાનૂની કલમો લગાવવામાં આવશે.