પાકિસ્તાન સુપર લીગ: દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં રમાશે મેચો, મોહસિન નકવીએ માફી માંગવી પડી

March 22, 2026

લાહોર- પાકિસ્તાન સુપર લીગ (PSL)ની શરૂઆત આગામી 26 માર્ચ 2026થી થવા જઈ રહી છે, પરંતુ ખાડી યુદ્ધની સ્થિતિ વચ્ચે પેટ્રોલ જેવા મહત્ત્વના સંસાધનો બચાવવા માટે આ વખતે ટૂર્નામેન્ટ માત્ર બે જ વેન્યુ પર રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસિન નકવીએ રવિવારે માહિતી આપી હતી કે, આ સંજોગોમાં પ્રેક્ષકો માટે સ્ટેડિયમમાં પ્રવેશ નહીં આપવામાં આવે, એટલે કે તમામ મેચો ખાલી સ્ટેડિયમમાં રમાશે. આ નિર્ણય આઠ ફ્રેન્ચાઈઝી માલિકો સાથેની લાંબી બેઠક અને વડાપ્રધાન શહબાઝ શરીફ સાથેની પરામર્શ બાદ લેવામાં આવ્યો છે. ખાડી યુદ્ધ અને દેશમાં સર્જાયેલી ઈંધણ (પેટ્રોલ-ડીઝલ)ની તંગીને ધ્યાનમાં રાખીને આ કપરો નિર્ણય લેવામાં આવ્યો છે.
PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ જણાવ્યું હતું કે, 'જ્યારે અમે લોકોને તેમની અવરજવર મર્યાદિત રાખવા કહી રહ્યા હોઈએ, ત્યારે દરરોજ 30,000 લોકોને સ્ટેડિયમમાં બોલાવવા યોગ્ય નથી. આ એક મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ દેશની વર્તમાન સ્થિતિને જોતા તે અનિવાર્ય હતો.'
લાહોરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નકવીએ જણાવ્યું હતું કે, પીએસએલની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે તેને નિર્ધારિત કાર્યક્રમ મુજબ 26 માર્ચથી જ શરૂ થશે, કારણ કે વર્ષના બાકીના સમયમાં અન્ય કોઈ વિન્ડો ઉપલબ્ધ નથી. હું પેશાવરના તે ફેન્સની માફી માંગું છું, જેમને પહેલીવાર પોતાના શહેરમાં પીએસએલ મેચ જોવાનો મોકો મળવાનો હતો, મને આશા છે કે, આગામી વખત તેમને વધુ મેચ જોવાનો મોકો મળશે. પ્રેક્ષકોની ગેરહાજરીને કારણે ટિકિટ વેચાણથી થતા 'ગેટ મની'ના નુકસાનની ભરપાઈ કરવા માટે તમામ ફ્રેન્ચાઈઝીને નાણાકીય વળતર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.