રોહિત શર્મા 37 વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક કરશે, ODI રમનાર સૌથી વધુ વય ધરાવતો ભારતીય ખેલાડી બનશે

June 11, 2026

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આગામી 13 જૂનથી શરૂ થઈ રહેલી 3 મેચોની વન-ડે સીરિઝ ક્રિકેટ ચાહકો માટે રોમાંચક સાબિત થવાની છે. ધર્મશાલામાં રમાનારી સીરિઝની પ્રથમ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓપનર રોહિત શર્મા મેદાન પર પગ મૂકતાની સાથે જ એક અનોખો ઇતિહાસ રચી દેશે. તે ભારત માટે વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનારો ઇતિહાસનો સૌથી વધુ ઉંમરનો ખેલાડી બની જશે. આ સાથે જ તે એક મોટો ઐતિહાસિક રેકોર્ડ પણ પોતાના નામે કરશે.

રોહિત શર્મા જ્યારે ધર્મશાલાના મેદાન પર અફઘાનિસ્તાન સામે મેચ રમવા ઉતરશે, ત્યારે તેની ઉંમર 39 વર્ષ અને 44 દિવસની હશે. આ સાથે જ તે મોહિન્દર અમરનાથનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખશે. 1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમના હીરો રહેલા મોહિન્દર અમરનાથે વર્ષ 1989માં ભારત માટે પોતાની છેલ્લી વન-ડે મેચ રમી હતી, તે સમયે તેમની ઉંમર 39 વર્ષ અને 36 દિવસની હતી. હવે રોહિત શર્મા આ મામલે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વયોવૃદ્ધ ખેલાડી બની જશે.

રોહિત શર્મા તાજેતરમાં જ પોતાનો ફિટનેસ ટેસ્ટ પાસ કરીને ભારતીય ટીમ સાથે જોડાયા છે અને રમવા માટે સંપૂર્ણ સજ્જ છે. બીજી તરફ, ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે આ સીરિઝમાંથી બહાર થઈ ગયા છે. તેમની વાપસી આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન થવાની સંભાવના છે.

T20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટમાંથી પહેલેથી જ નિવૃત્તિ લઈ ચૂકેલા રોહિત શર્માની નજર હવે આગામી વર્ષે એટલે કે 2027માં યોજાનારા 50 ઓવરના વર્લ્ડ કપ પર ટકેલી છે. રોહિત શર્માની અંતિમ ઈચ્છા ભારતને 2027નો વર્લ્ડ કપ જીતાડીને વન-ડે ક્રિકેટમાંથી ગૌરવભરી વિદાય લેવાની છે. આ મેગા ઇવેન્ટ સુધી પોતાને ફિટ અને ફોર્મમાં રાખવા માટે રોહિત સખત મહેનત કરી રહ્યો છે. જોકે, IPL 2026 તેના માટે ખાસ સફળ રહ્યું નહોતું, પરંતુ વન-ડે ક્રિકેટમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. વધતી ઉંમરને જોતા આગામી સમયમાં કોઈ પણ ગંભીર ઈજા કે ખરાબ ફોર્મ તેને ટીમની બહાર કરી શકે છે, જેથી તેણે ખૂબ જ સાવધ રહેવું પડશે.