કરાચીમાં ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશયી થતાં 7ના મોત, 8 ઘાયલ

July 05, 2025

શુક્રવારે પાકિસ્તાનના કરાચીમાં એક બહુમાળી રહેણાંક ઇમારત પત્તાની જેમ ધરાશાયી થતાં ઓછામાં ઓછા સાત લોકોના મોત નિપજ્યા હતા અને આઠ અન્ય ઘાયલ થયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શહેરના લ્યારીના બગદાદી વિસ્તારમાં ફિદા હુસૈન શેખા રોડ પર સ્થિત ઇમારતના કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે.

કરાચીના મેયર મુર્તઝા વહાબ સિદ્દીકીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, "લ્યારીના બગદાદીમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે." સિદ્દીકીએ બાદમાં ઘટનાસ્થળે મીડિયાને જણાવ્યું હતું કે સાત મૃતદેહો મળી આવ્યા છે. 1974 માં બનેલી પાંચ માળની ઇમારત કરાચીના જૂના વિસ્તારોમાં જર્જરિત ઇમારતોની યાદીમાં હતી. લ્યારી કરાચીના સૌથી ભીડભાડવાળા, નીચાણવાળા અને ઓછી આવક ધરાવતા વિસ્તારોમાંનો એક છે.

બચાવ કાર્યકરોને ટાંકીને, જીઓ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે અધિકારીઓનો અંદાજ છે કે 25 લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે. સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે અધિકારીઓને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે. તેમણે સિંધ બિલ્ડીંગ કંટ્રોલ ઓથોરિટીને અહેવાલ રજૂ કરવા અને શહેરમાં તમામ ખતરનાક બાંધકામોની ઓળખ કરવાનો નિર્દેશ આપ્યો છે.