અમરેલીમાં સરકારી શાળાની ઘોર બેદરકારી! 4 વિદ્યાર્થી શાળામાં પુરાયા, ગેટ પર તાળું મારી જતા રહ્યા શિક્ષકો

July 05, 2025

નવી શિક્ષણ નીતિ હેઠળ ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં શનિવારથી (પાંચમી જુલાઈ) બેગલેસ ડે શરૂઆત કરાઈ છે. દર શનિવારે વિદ્યાર્થીઓએ બેગ વગર શાળામાં આવવાનું રહેશે. આ દરમિયાન અમરેલી જિલ્લાની ખાંભા પે.સેન્ટર કુમાર શાળામાં શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે. જ્યાં શિક્ષકો શાળાના ગેટ પર તાળા મારી જતા રહેતા ચાર વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડમાં એક કલાક સુધી ફસાયા હતા. મળતી માહિતી અનુસાર,ખાંભા પે.સેન્ટર કુમાર શાળાના શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે. શિક્ષકોએ શાળાના ગેટ પર તાળા મારી જતા રહેતા ચાર વિદ્યાર્થીઓ ફસાયા હતા. આ બાળકો શાળામાંથી શનિવાર હોવાથી 11 વાગે છૂટવા છતાં ઘરે ન આવતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. ત્યાં જઈને જોયું તો વિદ્યાર્થીઓ એક કલાકથી વધારે સમયથી ભૂખ્યા-તરસ્યા શાળાના ગ્રાઉન્ડમાં હતા. જો કે, વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરાતા શાળાના તાળા ખોલીને વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા.  ઉલ્લેખનીય છે કે, પાંચમી જુલાઈથી હજારો વિદ્યાર્થીઓ સ્કૂલમાં બેગ વગર જોવા મળ્યા હતા. પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્યોનું કહેવું છે કે, 'ધો.1થી 2ના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન દોઢ થી બે કિલો, ધો.3થી 4ના વિદ્યાર્થીઓની બેગનું વજન 3 કિલો અને ધો. 6થી 8ના વિદ્યાર્થીઓની બેગનું વજન 4 કિલો હોય છે. સપ્તાહમાં એક દિવસ તેમને આ ભારમાંથી મુક્તિ મળશે તે મોટી વાત છે.'