રામોલના પિતાની અંતિમ વિધિ કરવા લંડનથી આવેલા પુત્રનું મોત

June 13, 2025

અમદાવાદ : અમદાવાદમાં ગુરુવારે સર્જાયેલી વિમાન દુર્ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે. આ દુર્ઘટનામાં રામોલના રહેવાસી 30 વર્ષીય લોરેન્સ ડેનિયલ ક્રિશ્ચિયનનું મૃત્યુ થયું છે. લોરેન્સ બે અઠવાડિયા પહેલા પિતાનું અવસાન થતાં અમદાવાદ પરત ફર્યો હતો. જોકે, પિતાના મૃત્યુને મહિનો પણ નહતો થયો અને લોરેન્સનું વિમાન દુર્ઘટનામાં દુઃખદ મોત થયું છે. 
મળતી માહિતી મુજબ, લોરેન્સ પરિવારનો એકમાત્ર દીકરો હતો અને છેલ્લા દોઢ વર્ષથી તે લંડનમાં રહેતો હતો. અહીં તે ઉચ્ચ શિક્ષણ સાથે નોકરી કરી રહ્યો હતો. તે પોતાની સાથે પત્ની આયુષીને પણ લંડન લઈ ગયો હતો. બંને ત્યાં વિદેશમાં ભવિષ્ય બનાવવાના સપના જોતા હતા અને પરિવારને પણ ટૂંક સમયમાં લંડન બોલાવી લેવાની યોજના હતી.
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, લોરેન્સ 31 મેના દિવસે અમદાવાદ પહોંચ્યો હતો અને પિતાની અંતિમ વિધિમાં હાજરી આપી હતી. લોરેન્સના પિતાનું મૃત્યુ 29 મેના દિવસે થયું હતું. જોકે, પિતાના મૃત્યુના 15 દિવસ બાદ પરિવારે ઘરની બીજી એક મહત્ત્વની વ્યક્તિ ગુમાવવી પડી હતી. ગુરુવારે લંડન જવા નીકળેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતાં લોરેન્સનું તેમાં મૃત્યુ થયું હતું. લોરેન્સે ફ્લાઇટ ટેક ઑફ થાય તેની થોડીવાર પહેલાં જ વીડિયો કૉલ કર્યો હતો. જોકે, પરિવારને બહુ પાછળથી આ દુર્ઘટના વિશે જાણ થઈ હતી.